હિતુભા ફરાર થયાના પ્રકરણમાં 7 સામે નોંધાતો ગુનો : પીએસઆઇ સહિત 4ની ધરપકડ

- text


મોરબી : મોરબીના ચકચારી મુસ્તાક હત્યા કેસના આરોપી હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા આજે પોલીસ જાપ્તામાં મોરબીની સેશન્સ કોર્ટમાં લઇ આવવામાં આવી રહ્યા હતા ત્યારે ધ્રાંગધ્રાની હોનેસ્ટ હોટલ પાસેથી ફરાર થઇ ગયા હતા જે બનાવમાં નરોડાના પીએસઆઇ, ત્રણ પોલીસ જવાન, હિતેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ સાત સામે ગુનો નોંધાયો છે જે પૈકીના પીએસઆઇ સહિતના જવાનોની ધ્રાંગધ્રા પોલીસ દ્વારા ધરપકડ કરાઇ છે.

મોરબી શહેરના શનાળા રોડે ફાયરીંગ કરીને મુસ્તાક મીરની થોડા સમય પહેલા હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલા હિતેન્દ્રસિંહ ઝાલા પેરોલ જમ્પ કરીને નાશી ગયા હતા ત્યાર બાદ શહેરના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા આરીફ મીર ઉપર ભાડૂતી મારા મોકલાવીને થોડા સમય પહેલા હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવમાં અમદાવાદ એટીએસ દ્વારા હિતેન્દ્રસિંહ ઝાલાની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી બાદમાં તે સાબરમતી જેલમાં હતા ત્યાંથી આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાને મોરબીની સેશન્સ કોર્ટમાં લઈને આવતા હતા ત્યારે ધ્રાંગધ્રા હોનેસ્ટ હોટેલ નજીકથી આજે સવારે ૧૦ વાગ્યા પહેલા પોલીસ જાપતામાંથી હિતેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયા હતા.

- text

જેથી ધ્રાંગધ્રાના હેડ કોન્સ્ટેબલ લલીતભાઇ મેરૂભાઇની ફરીયાદ લઇને હાલમાં નરોડાના પીએસઆઇ હર્ષપાલસિંહ રાજેન્દ્રસિંહ જેનાવત, હેડ કોન્સ્ટેબલ રાજુભાઇ ગણપતભાઇ બારીયા, દિલીપભાઇ બુટાભાઇઓ જાદવ, ગજેન્દ્રસિંહ ભીખુભા, હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા તેમજ ફોર્ચ્યુનર કાર જીજે ૧૮ બીજી ૬૦૯૩ના ચાલક અને તેની સાથે બેસેલ અન્ય એક વ્યક્તિ એમ કુલ સાત શખ્સની સામે ગુનો નોંધાયો છે જેમાંથી હાલમાં પીએસઆઇ હર્ષપાલસિંહ જેનાવત, રાજુભાઇ બારીયા, દિલીપભાઇ જાદવ અને ગજેન્દ્રસિંહ ભીખુભાની ધરપકડ કરવામાં આવી છે.

- text