પ્રદુષણ ઓકતા મોરબીના કોલગેસ સિરામિક પ્લાન્ટ બંધ કરવા એનજીટીનો આદેશ

- text


નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશને પગલે મોરબીના ૫૦૦ જેટલા સિરામિક એકમોને ફટકો

એનજીટીના આદેશનું ચુસ્ત પણે પાલન કરાશે : જીપીસીબી

બે લાખ લોકોની રોજગારીનો પ્રશ્ન હોય એનજીટીના આદેશને સુપ્રીમમાં પડકારવામાં આવશે : મોરબી સિરામિક એસોશિએશન

મોરબી : સિરામિક હબ મોરબીને આંચકો આપતા એક ચુકાદામાં આજે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે કોલગેસથી ચાલતા અને પ્રદુષણ ફેલાવતા તમામ સિરામિક યુનિટો બંધ કરવા આદેશ આપતા સિરામિક લોબી સ્તબ્ધ બની ગઈ છે, વર્ષ ૨૦૧૭માં એનજીટી સમક્ષ દાખલ થયેલ કેસનો આજે આકરો ચુકાદો આવતા અંદાજે ૪૦૦થી ૫૦૦ સિરામિક એકમો બંધ થાય તેમ હોવા ઉપરાંત ૨ લાખ શ્રમિકો બેરોજગાર બને તેમ હોય આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા મોરબી સિરામિક એસોશિએશને તૈયારી કરી લીધી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં અંદાજે ૭૦૦થી વધુ નાના- મોટા સિરામિક યુનિટ આવેલા છે જે પૈકી ૨૦૦ જેટલા કારખાનામાં નેચરલ ગેસનો ઉપયોગ થાય છે અને અન્ય સિરામિક એકમોમાં એ, બી, સી અને ડી કેટેગરીમાં કોલગેસ પ્લાન્ટનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. જેમાં કેટલાક સીરામીક એકમો દ્વારા કોલગેસ પ્લાન્ટમાંથી નીકળતા ઝેરી કડદાનું વેપોરાઈઝેશન ફરજિયાત હોવા છતાં ખુલ્લા મેદાન અને નદી કે નાળામાં કેમિકલ યુક્ત કદળો ઠાલવવામાં આવતો હોવાથી વર્ષ ૨૦૧૭માં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ થયો હતો.

આ કેસમાં આજે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પ્રદુષણ ફેલાવતા કોલગેસ પ્લાન્ટ ધરાવતા તમામ સિરામિક યુનિટ માટે કડક ચુકાદો આપી આવા પ્લાન્ટ બંધ કરવા આદેશ આપતા મોરબીના અંદાજે ૫૦૦થી કારખાના બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

બીજી તરફ આ મામલે મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ મુકેશ ઉઘરેજાએ જણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપની નેચરલ ગેસ પૂરો પડી શકે તેમ નથી છતાં કોલગેસ વપરાશ કરતા ૧૦૦ જેટલા યુનિટો કોલગેસમાથી નેચરલ ગેસમાં કન્વર્ટ થઈ શકે તેમ છે, વધુમાં આ ચુકાદાને કારણે દોઢથી બે લાખ શ્રમિકો બેરોજગાર બને તેમ હોય મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ચુકાદાને સુપ્રિમકોર્ટમાં પડકારવામાં આવનાર હોવાનું તેમણે ઉમેર્યું હતું.

- text

દરમિયાન નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદાથી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ હરકતમાં આવ્યું છે, જીપીસીબીના ઇન્ચાર્જ કાપડીયાએ જણાવ્યું હતું કે એનજીટીના ચુકાદાનો અભ્યાસ કરી અક્ષરશઃ આદેશનું પાલન કરવામાં આવશે જેમાં કોઈની પણ શેહ શરમ રાખવામાં નહિ આવે તેવું સ્પષ્ટ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, એનજીટીના ચુકાદા મુજબ એ,બી,સી એન ડી તમામ કોલગેસી ફાયર બંધ કરવા આદેશ કરવાની સાથે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા દિલ્હી હાઇકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી છે જે મોરબી પંથકમાં કોલગેસને કારણે થયેલા પર્યાવરણીય નુકશાનનો સર્વે કરી રીપોર્ટના આધારે જવાબદાર કારખાનેદારોને કરશે દંડ પણ ફટકારનાર હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text