- text
બાળકોને અલગ-અલગ મેનુના બદલે ભાત જ ખવડાવાતા કલેકટરને ટ્વીટર મારફત ફરિયાદ
મોરબી : મોરબી જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં લાલીયાવાડી ચલાવી બાળકોના મોમાંથી કોળિયા કાઢી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ચોંકાવનારી ફરિયાદ વચ્ચે મોરબી જિલ્લાના ગારિયા ગામે બાળકોને સરકારે નક્કી કરેલા મેનુ મુજબ ભોજન આપવાને બદલે માત્ર વાઘરેલા ભાત જ ખવડાવવામાં આવતા હોવાની ચોંકાવનારી ફરિયાદ જિલ્લા કલેકટરને ટ્વીટર મારફતે થતા તપાસના આદેશો છૂટ્યા છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા ગામે મધ્યાહન ભોજન યોજનાનું કેન્દ્ર રામ ભરોસે ભ્રષ્ટાચાર દ્વારા ચાલી રહ્યાની ચોંકાવનારી ફરિયાદ કરનાર ગામના જાગૃત નાગરિક અર્જુનસિંહ વાળાએ કર્યા બાદ ઓન વાંકાનેરથી ગારીયા અપડાઉન કરતા કેન્દ્ર સંચાલક કેન્દ્ર ઉપર હાજર રહેતા નથી અને વેકેશન ખુલ્યા બાદ સરકારના નિયમ મુજબ મેનુ મુજબનો પૌષ્ટિક ખોરાક આપવાને બદલે વાઘરેલા ભાત જ બાળકોને ધાબડતા હોવાથી આજે શાળાના આચાર્યને સાથે રાખી ફોટા અને વીડિયો ટ્વિટર પર જિલ્લા કલેકટરને મોકલી ફરિયાદ કરી હતી.
વધુમાં આજે સરકારના નિયમ મુજબ મેનુમાં દાળ ઢોકળી પીરસવાનું નક્કી કરાયું હતું પરંતુ બાળકોને ભાત અપાયા હતા. ઉલ્લેખનીય છે કે બાળકોના મોઢામાંથી કોળિયા છીનવી પોતાનું પેટ ભરતા ભ્રષ્ટાચારીઓમાં ટોપ ટુ બોટમ મામલતદાર કચેરીનો સ્ટાફ સંડોવાયેલ હોવાનું પણ ફરિયાદી અર્જુનસિંહ વાળાએ જણાવ્યું હતું. દરમિયાન ગારીયા ગામના આ ચોકવનારા કિસ્સામાં કલેકટર અને વાંકાનેર પ્રાંતને ફરિયાદ કરાતા જિલ્લા કલેકટરે ત્વરિત તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.
- text
- text