ભગવાન વિઘ્નહર્તા અમારી સાથે છે : હાર્દિક પટેલ

- text


મોરબીમાં બે વર્ષથી બિરાજેલા ગણપતિબાપાની ટીમ હાર્દિકની ઉપસ્થિતમાં વિધીવત વિસર્જન યાત્રાનો પ્રારંભ : વિસર્જન યાત્રા દરમિયાન યુવાનોએ ગૌરવયાત્રાના બેનરો ફાડયા

મોરબી : પાટીદાર દમન અને હાર્દિક વિરુદ્ધ રાજદ્રોહના કેસ સમયથી મોરબીના પાસ અગ્રણી નિલેશ એરવાડિયાના ઘેર બેસાડવામાં આવેલ ગણપતિનું આજે ટીમ હાર્દિકના હસ્તે વિધિવત વિસર્જન કરવા માટે હાર્દિક પટેલ સહિતની પાસની ટિમ મોરબી ઉપસ્થિત રહી હતી.
ગણેશ વિસર્જન માટે મોરબી આવેલ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ભગવાન વિઘ્નહર્તા અમારી સાથે છે અને અમને અમારું ધારેલું કાર્ય કરવામાં તેમની મદદ મળશે,જોકે ગૌરવયાત્રા વિશે હાર્દિક પટેલે જાજુ કઈ ન કહેતા એટલું જ કહ્યું હતું કે આતો રાજનીતિની સીઝન છે. ચૂંટણી આવે એટલે આવું બધું ચાલ્યા કરે. મોરબી ખાતે આવેલ હાર્દિક પટેલ સાથે પાટીદાર અનામત આંદોલનના દિનેશ બામ્ભણીયા,અલ્પેશ પટેલ સહિતના સાત અગ્રણીઓ સાથે રહ્યા હતા.
વધુમાં બપોરે નિલેશ એરવાડિયાના નિવાસ સ્થાન અવની ચોકડી ખાતેથી તેમના ઘેર બિરાજમાન થયેલા ગણપતિબાપાની વિશાલ વિસર્જન યાત્રા શરૂ કરવામાં આવી હતી જે બાપા સીતારામ ચોક થઈ નવા બસસ્ટેન્ડ સામે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી બાયપાસ થઈ પાટીદાર યુવાનોની વિશાળ હાજરી વચ્ચે ગાળા ગામ તરફ રવાના થઇ હતી.
ઉલ્લેખનીય છે કે ગણેશ વિસર્જનયાત્રા દરમિયાન કેટલાક યુવાનોએ ભાજપની ગૌરવયાત્રાના બોર્ડ તોડ્યા હતા.
મોરબી થી રવાના થયેલ હાર્દિક પટેલની આગેવાની વાળી ગણેશ વિસર્જન યાત્રા ગાળા ગામ ખાતે રોકાશે બાદમાં ગાળા ગામ ખાતે હાર્દિક પટેલ અને તેની પાટીદાર સેના ચાય પે ચર્ચા કરી હળવદ તરફ આગળ વધશે અને હળવદના ટીકર ગામે બ્રાહ્મણી નદીમાં ગણેશ વિસર્જન કરવામાં આવશે અને ત્યારબાદ સાંજે ટીકર ખાતે વિશાળ સભાને સંબોધવામાં આવશે.

 

- text