- text
કલેકટર-ડીડીઓ દ્વારા ઉપવાસી છાવણીની મુલાકાત ન લેતા કચેરીને તાળાબંધી કરવા ચીમકી
મોરબી:મોરબી જિલ્લાના ખેડૂતોને પાક વીમા પ્રશ્ને અન્યાય થતા કોંગ્રેસના પ્રદેશ આગેવાન દ્વારા છેલ્લા અગિયાર દિવસથી ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે છતાં જિલ્લા કલેકટર કે ડીડીઓ દ્વારા કોઈ પ્રત્યુતર ન આપવામાં આવતા ઉપવાસી અગ્રણીઓએ કચેરીને તાળાબંધી કરવા ચીમકી આપી છે.
જાણવા મળ્યા મુજબ મોરબી જિલ્લાના ટંકારા,માળીયા,વાંકાનેર,હળવદ અને મોરબી તાલુકાના ખેડૂતોને સરકાર દ્વારા જાહેર કરાયેલા પાકવિમામાં અન્યાય થતા તમામ તાલુકાના પાકવીમાની રકમ જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસના આઇટી સેલના પ્રદેશ પ્રભારી સુખભાઈ કુંભારવાડિયા દ્વારા ૨૪ સપ્ટેમ્બરથી ઉપવાસી છાવણી શરૂ કરી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે આમ છતાં જિલ્લાના જવાબદાર અધિકારી તરીકે જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી કે ખેતીવાડી અધિકારી દ્વારા ઉપવાસી છાવણીની મુલાકાત લેવામાં આવી નથી.
વધૂમા સુખભાઈએ જણાવ્યું હતું કે જિલ્લાના જવાબદાર અધિકારીઓ દ્વારા કા તો લેખિતમાં જણાવી દેવામાં આવે કે અમારી પાસે પાક વિમાને લાગતી કોઈ માહિતી નથી તો અમે અમારું આંદોલન સમાપ્ત કરીએ અથવા સરકાર ખેડૂતો પાસેથી પ્રીમિયમ લેવાનું બંધ કરે.
અંતમાં ઉપવાસી સુખાભાઈ કુંભરવાડિયાએ તાકીદે પાકવિમાના પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહિ આવેતો રાજ્યના કૃષિ મંત્રીનું રાજીનામુ માંગી કચેરીને તાળાબંધી કરવા સુધીના ઉગ્ર ખેડૂત આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
- text
- text