- text
આગામી દિવસોમાં સિરામિક ટાઈલ્સમાં ભાવ વધારો થવાની શક્યતા : મીટીંગનો દૌર શરુ
મોરબી : ભારત સરકાર દ્વારા જીએસટી લાગુ પાડવાના નિર્ણયને કારણે ઉદ્યોગો અને વેપારીઓ અસમંજસમાં છે. જેની સીધી અસર મોરબીના સીરામીક ઉદ્યોગમાં જોવામળી છે. જેમાં જીએસટી સિસ્ટમ અંગે વેપારીઓ અસમંજસ હોવાથી હાલ માલ ઉપાડવાનું બંધ કરતા મોરબીના અમુક સીરામીક યુનિટોએ ઉત્પાદનમા કાપ મુકવાની ફરજ પડી છે. જયારે GSTના પગલે આગામી દિવસોમાં સિરામિક ટાઈલ્સમાં ભાવ વધારો થવાની શક્યતા છે.
- text
આ અંગે મોરબી સીરામીક એસોસિયેશનના પ્રમુખ નિલેશ જેપરીયાએ મોરબી અપડેટ સાથેની વાત ચિતમાં જણાવ્યું હતું કે જીએસટી સિસ્ટમ અંગે વેપારીઓ અસમંજસમાં હોવાથી હાલમાં વિવિધ રાજ્યોના વેપારીઓએ માલ ઉપાડવાનું ઓછું કરી નાખ્યું છે. અને હાલ નવા ઓડર્ર પણ નથી આવી રહ્યા. જેના કારણે યુનિટોમાં માલનો ભરાવો થવાની શક્યતા છે. જેના પગલે આગામી દિવસોમાં સીરામીકમાં ઉત્પાદનમાં કાપ મુકવાની ફરજ પડશે. જોકે જેતપરીયાએ સાથે આ સ્થિતિ થોડા સમયમાં સામાન્ય થઇ જવાની આશા વ્યકત કરી છે. જયારે સિરામિકમાં ભાવ વધારા અંગે તેઓએ જણાવ્યું હતું કે રો મટીરીયલ્સમાં ભાવ વધારા સહિતના પરિબળોના કારણે સિરામિક પ્રોડક્ટની પડતરમાં નોંધ પાત્ર વધારો થઇ રહ્યો છે. જેના પગલે વિટ્રિફાઇડ સહિતની ટાઈલ્સમાં ભાવ વધારા માટે વિચારણા ચાલી રહી છે.
- text