મોરબી પાલિકાના હોદેદારોની સામેની અવિશ્વાસ દરખાસ્ત મુદ્દે 27મીએ બોર્ડ બોલાવાયું

- text


 

જોકે આ બોર્ડમાં માત્ર ઉપપ્રમુખ એકની જ અવિશ્વાસની દરખાસ્ત પર વોટિંગ લેવાશે : પ્રમુખ માટે બીજું બોર્ડ બોલાવશે

મોરબી : મોરબી નગરપાલિકામાં હાલની ડામાડોળભરી રાજકીય સ્થિતીની વચ્ચે પાલિકાના વિરોધપક્ષ કોંગ્રેસના ૨૨ જેટલા સદસ્યોએ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકતા આ મુદ્દે પાલિકા પ્રમુખ દ્વારા આગામી 27મીએ બોર્ડ બોલાવાયું છે. જોકે આ બોર્ડમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને માત્ર ઉપપ્રમુખ એકની જ અવિશ્વાસની દરખાસ્ત પર વોટિંગ લેવાશે જયારે પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત માટે બીજું બોર્ડ બોલાવશે તેવો નિર્ણય લેવાતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.
મોરબી નગરપાલિકાના કુલ બાવન સદસ્યોમાંથી કોંગ્રેસના ૨૨ સદસ્યોએ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને સામે વહીવટી અણઆવડત, વિવિધ સમિતિઓની રચના કરવામાં નિષ્ફળતા અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોવાનું કારણ બતાવી અવિશ્વાસની દરખાસ્ત મુકતા ફરીથી રાજકીય માહોલ ગરમાયો છે. નિયમ મુજબ પ્રમુખ-ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત માટે જરૂરી ૩૩ ટકા સભ્યના સમર્થન સાથે હાલ કોંગ્રેસે પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ અને ઉપપ્રમુખ અનિલ મહેતાને હોદા પરથી દુર કરવાની દરખાસ્ત મુકાય હતી. જેમાં નિયમ મુજબ અવિશ્વાસની દરખાસ્ત મુક્યા ના ૧૫ દિવસની અંદર પાલિકા પ્રમુખે બોર્ડ બોલવાનું હોય અને તેમાં અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરવા માટે ૬૬ ટકા સભ્યોનું એટલે કે બાવન માંથી ૩૫ સદસ્યોનું સમર્થન હોવું જરૂરી છે. ત્યારે પાલિકા પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે 27મીએ શનિવારે સવારે 11 વાગ્યે બોર્ડ બોલાવામાં આવ્યું છે. જોકે આ બોર્ડમાં માત્ર ઉપપ્રમુખ એકની જ અવિશ્વાસની દરખાસ્ત પર વોટિંગ લેવાશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. તેમને વધુમાં કહ્યું હતું કે હાલ પ્રમુખના અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત માટે બોર્ડ બોલાવાયું છે. જયારે પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તના મુદ્દે બીજી વાર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બોર્ડ બોલાવામાં આવશે. જયારે ઉપપ્રમુખ સામે મુકેલી અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરવા 27મીના બોર્ડમાં કોંગ્રેસ ૩૫ સભ્યોનું સમર્થન મેળવી શકે છે કે નહિ તે જોવાનું રહ્યું.

- text

- text