હાશ…મોરબી પાલિકાનું 370 કરોડનું બજેટ અંતે મંજૂર થયું!

- text


બજેટમાં શહેરમાં બે બ્રિજ માટે રૂ. 62 કરોડની ફાળવણી : નવા રોડ માટે રૂ. 3.5 કરોડ, નવા બગીચા માટે રૂ. 1 કરોડ ફળવાયા

મોરબી : મોરબી પાલિકાનું બજેટ અગાઉ નામંજુર થયા બાદ અંતે આજે ખાસ સભામાં આ બજેટને મંજૂરી મળી છે. આ આ બજેટ રૂ. 370 કરોડનું છે. જેમા મુખ્ય જોગવાઈ જોઈએ તો બે બ્રિજ માટે રૂ. 62 કરોડ, નવા રોડ માટે રૂ. 3.5 કરોડ અને નવા બગીચા માટે રૂ. 1 કરોડ ફાળવવામાં આવ્યા છે.

મોરબી પાલિકાની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં બજેટ નામંજૂર થયા બાદ આજે બજેટ મંજુર કરવા માટે ખાસ સભા બોલાવવામાં આવી હતી. જેમાં રૂ. 370 કરોડનું બજેટ મંજૂરી અર્થે મુકવામાં આવ્યું હતું. આ બજેટને મંજુર કરવામાં કોંગ્રેસના 19 મત અને નામંજૂર કરવામાં ભાજપના 17 મત પડ્યા હતા. જ્યારે કોંગ્રેસના 2 સભ્યો તટસ્થ રહ્યા હતા. આમ અંતે મોરબી પાલિકાનું બજેટ મંજુર થવામાં સફળતા મળી હતી. જોકે વિપક્ષે આ બજેટ સામે વિરોધ દર્શાવી તેને પરચુરણ બજેટ પણ ગણાવ્યું હતું.

આજની બેઠકમાં બજેટ ઉપરાંત રેલવે સ્ટેશનથી નવલખી રોડનું ભોજાબાપા મકવાણા નામકરણ કરવાને મંજૂરી અપાઈ હતી. વધુમાં બજેટમાં આવકમાં મહેસુલ આવક 4549.77 લાખ, મૂડીકૃત આવક 653 લાખ,ગ્રાન્ટ આવક 31510 લાખ, ડિપોઝીટ આવક 238.35 લાખ અને તસલમાત આવક 100.50 લાખ દર્શાવવામાં આવી હતી. જ્યારે ખર્ચમાં મહેસુલી ખર્ચ 8318.50 લાખ, મૂડીકૃત ખર્ચ 1177.50 લાખ, ગ્રાન્ટ ખર્ચ 27215 લાખ, ડિપોઝીટ ચુકવણી 238.35 લાખ, તસલમાત ખર્ચ 100.50 લાખ, બંધ સિલક 1.77 લાખ અંદાજવામાં આવી છે.

- text

વધુમાં આ બજેટમાં વર્ષ 2020-21માં ટેક્ષ વસુલાત પેટે રૂ. 1979.50 લાખની રકમ અંદાજવામાં આવેલ છે. પાલિકાની માલિકીની દુકાનો શોપિંગ સેન્ટર વગેરેના ભાડાઓ પેટે રૂ. 653 લાખ તથા સુખડીની ઉપજ પેટે રૂ.1300 લાખ અંદાજવામાં આવ્યા છે. સરકારની વિવિધ યોજનાઓ પેટે રૂ. 29105 લાખ અંદાજવામાં આવ્યા છે. પરચુરણ આવક, ફી, આવાસ યોજનાના લોકફાળા પેટે રૂ. 2405 લાખ, કર્મચારીના પગાર 1150લાખ , પેનશન, ગ્રેચ્યુટી અને નિવૃત્તિના લાભોમાં 850 લાખ , હંગામી રોજમદારના પગાર પેટે 515 લાખ, કન્ટીજન્સ ખર્ચ પેટે રૂ.240.50લાખ, વાહનોના રીપેરીંગ ખર્ચ પેટે 102 લાખ, ડીઝલ ઓઇલ ખર્ચ પેટે 145 લાખ, વિભાગોની મરામત, નિભામણી ( ફાયર સ્ટેશન, સિટી બસ) પેટે 152 લાખ, સ્ટ્રીટ લાઈટ પેટે રૂ. 200 લાખ, જાહેર તંદુરસ્તી( પાણી પુરવઠો, વોટર સપ્લાય) પેટે રૂ. 940 લાખ, કોન્ઝવન્સી રસ્તા સફાઈ પેટે રૂ. 1020 લાખ, બાગ બગીચા પેટે રૂ. 67.50 લાખ, જાહેર બાંધકામ પેટે રૂ. 622 લાખ, ભૂગર્ભ ગટર પેટે રૂ. 580 લાખ, ડેવલપમેન્ટ પેટે રૂ. 1354 લાખ મળી રૂ. 4935.50 લાખ, નવા રસ્તા માટે રૂ. 350 લાખ, નવા બગીચા બનાવવા માટે રૂ. 100 લાખ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે રૂ. 3500 લાખ, એસ.યુ.એચ. નંદકુંવરબા ધર્મશાળા રીનોવેશન પ્રોજેકટ માટે રૂ.300 લાખ, વજેપર ટુ પેલેસ ફ્લાય ઓવર માટે રૂ.5000 લાખ, નવલખી ફાટક ઓવરબ્રિજ માટેની ગ્રાન્ટ પૈકી 1200 લાખ અને રિવરફ્રન્ટ ગ્રાન્ટ અન્વયે રૂ. 4000 લાખ અંદાજવામાં આવેલ છે.

- text