ચાઇના સામે ટક્કર : મોરબીની ઓરેવા કંપનીની આગેવાનીમાં બનશે મચ્છર મારવાના રેકેટ

- text


  • ઓરેવા કંપની સાથે મળી મોરબીના ઉદ્યોગકારો મોસ્કિટો રેકેટમાં ચાઇનાનું પ્રભુત્વ ખતમ કરશે
  • 1 વર્ષની વોરંટી સાથેના મોસ્કિટો રેકેટની વિદેશોમાં પણ નિકાસ થશે : અંદાજે 12 હજાર લોકોને સીધી નવી રોજગારીની તકો ઉપલબદ્ધ થશે
  • ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલની આગેવાનીમાં 150 જેટલા ઉદ્યોગકારો ચાઈના સામે બાથ ભીડવા કટિબદ્ધ

મોરબી : કોરોનાની મહામારી દરમ્યાન વિશ્વ ઘણું બદલાયું છે. સાથોસાથ ભારતમાં પણ આર્થિક, સામાજિક, ઔધોગિક ક્ષેત્રે ઘણા બદલાવ આવવા લાગ્યા છે. આફતને અવસરમાં પરિવર્તિત કરવાના મોદી મંત્ર સાથે આત્મનિર્ભર ભારત અભિયાને દેશના વિવિધ ક્ષેત્રોને પ્રેરક બળ પૂરું પાડતા અર્થતંત્રને ગતિશીલ બનાવવાના ઉજળા સંજોગો વચ્ચે મોરબીની વિશ્વ પ્રસિદ્ધ ક્લોક કંપની ઓરેવાની આગેવાનીમાં મોરબીના કલોક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા નાના નાના ઉધોગકારોએ એક નવતર ચેલેન્જ સ્વીકારી મોસ્કિટો રેકેટના જથ્થાબંધ ઉત્પાદનમાં ઝંપલાવતાની તૈયારીઓ શરૂ કાર્યનો ઓરેવા કંપનીએ દાવો કર્યો છે.

મિડલ ઇસ્ટના દેશો અને ભારતીય ઉપખંડ સહીત વિશ્વના વિકાસશીલ દેશોમાં મચ્છરજન્ય રોગચાળો વિશેષ પ્રમાણમાં વ્યાપ્ત છે. આવા દેશોમાં મચ્છર મારવા માટે હાથવગું હથિયાર એટલે મોસ્કિટો કિલર રેકેટ, કે જેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન અત્યાર સુધી ચાઈનામાં થતું હતું. એક અંદાજ મુજબ દર વર્ષે 200 કરોડની કિંમતના 150 લાખ આવા મચ્છર માર રેકેટ ભારતમાં ચાઈનાથી ડમ્પ થાય છે. ભારતમાં અત્યાર સુધી એક પણ મોસ્કિટો કિલર રેકેટનું ઉત્પાદન થતું ન હતું. મોટેભાગે આવી ઇલેક્ટ્રિક આઇટમ્સની ખરીદી-વેંચાણમાં ટેક્ષની યેનકેન પ્રકારે ચોરી થતી હોય સરકારને પણ બહુ મોટું આર્થિક નુકશાન ભોગવવું પડતું હોય છે. ત્યારે હવે મોરબીના 150 જેટલા ઉદ્યોગકારોએ ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલની આગેવાનીમાં આવી ઇલેક્ટ્રિક પ્રોડક્ટ સ્થાનિક સ્તરે બનાવવાનું બીડું ઝડપ્યું છે.

- text

જયસુખભાઇ પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં મેડ ઈન મોરબી મોસ્કિટો કિલર રેકેટ 100 ટકા ભારતીય પાર્ટ સાથે લોન્ચ થશે. જેની ખાસ બાબત એ છે કે ચાઈનાની હલકી ગુણવત્તા અને નો વોરંટીના સ્થાને હવે ઉચ્ચત્તમ ક્વોલિટી અને એક વર્ષની વોરંટી સાથે આ સ્વદેશી ઉત્પાદન ભારતીઓ મેળવી શકશે આ ઉપરાંત વિશ્વના આફ્રિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા, જેવા મિડલ ઇસ્ટના દેશોમાં નિકાસ પણ થશે. જયસુખભાઇ પટેલે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે, 3 માસ પૂર્વે ઓરેવા ગ્રુપ દ્વારા ટ્રાયલ પ્રોડક્શન અને માર્કેટિંગનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો અને 3 લાખ જેટલા રેકેટ માર્કેટમાં વેંચાણ પણ કરેલ છે. માર્કેટમાં આ પ્રોડક્ટની ડિમાન્ડ જોતા એક અંદાજ મુજબ 300 કરોડથી વધારેનું ટર્નઓવર થવાની આશા સેવાઈ રહી છે.

જયસુખભાઇ પટેલે દાવો કર્યો હતો કે, આવનારા એકાદ વર્ષના ગાળામાં પ્રતિદિન આશરે 50 હાજર યુનિટનું ઉત્પાદન મોરબીમાં શરુ થતા 12000 નવી રોજગારી ઉપલબદ્ધ બનશે. આ નવી પ્રોડક્ટ બનાવવા માટે મોરબીના ક્લોક ઉદ્યોગ સાથે સંકળાયેલા મેન્યુફેક્ચરોને માત્ર 5 ટકા નવા રોકાણની જ જરૂર પડશે ત્યારે હવે સરકારને એક અનુરોધ કરવામાં આવ્યો છે કે, ચાઈનાથી ગેરકાયદે થતી આયાત બંધ કરાવે બાકી મોરબીના સમર્થ ઉધોગકારો પોતાની આવડત, કૌશલ્ય અને મહેનતના જોરે ચાઈનાને ટક્કર આપવા સક્ષમ છે.

- text