મોરબીમાં કારખાનેદારને મરવા મજબૂર કરનાર છ શખ્સો ઝડપાયા

- text


 

મૃતકની પત્નીની ફરિયાદ બાદ પોલીસે છ આરોપીને ઝડપી લીધા

મોરબી : મોરબી તાલુકાના શનાળા ગામમાં રહેતા કારખાનેદારે થોડા દિવસ પહેલા આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો હતો. આ બનાવમાં મૃતકના પત્નીએ છ વ્યાજખોરો સામે ઉધાર નાણાંની પઠાણી ઉઘરાણી અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આજે છ આરોપીને ઝડપી લીધા હતા.

મોરબી તાલુકાના રાજપર રોડ પર આવેલ શક્તિ એન્જીનીંયરીંગ નામના લેથના કારખાનાના માલિક દિલીપભાઇ મગનભાઇ પાડલીયા (ઉ.વ.૪૭, રહે. શનાળા ગામ, શક્તિ માતાજીના મંદિરની સામે)એ ગત તા. 14 જુલાઈના રોજ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવમાં ગઈકાલે મૃતકના પત્નીએ મહેશભાઈ, વીરેન્દ્રસિંહ, નરવીરસિંહ, મુસાભાઈ કાસમભાઈ, મુકેશભાઈ અને ફસલ ગુલમામદભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ આરોપીઓએ ઉચા વ્યાજે લોન આપી હતી. બાદમાં તે લોનની દિલીપભાઈ પાસે પઠાણી ઉધરાણી કરતા હતા. જેથી, દિલીપભાઈ આર્થિક સંકળામણમાં આવી જતા તેને અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે આ છ શખ્સો વિરુદ્ધ ફરિયાદની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

મોરબી એ ડિવિઝન પોલીસે આજે કારખાનેદારને મરવા મજબુર કરનાર આરોપીઓ મહેશ્વરસિંહ ઘનશ્યામસિંહ જાડેજા રહે ખાનપર (નેસડા), વીરેન્દ્રસિંહ ઉર્ફે વિરૂભા નટુભા જાડેજા રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ, નરવીરસિંહ ઉર્ફે નારદિન બાપાલાલ ઝાલા રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ, કાસમ આદમ ભટ્ટી રહે મહેન્દ્રપરા શેરી નં ૧૧, ફેસલ ગુલામ હુશેન માડકીયા રહે ગઢની રાંગ વાણંદ શેરી મોરબી અને મુકેશ બચુંભાઈ ડાંગર રહે કોયલી ગામ એમ છ આરોપીની ધરપકડ કરી છે અને તમામ આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

- text