મોરબીમાં એક સપ્તાહના સ્વૈચ્છિક લોકડાઉન બાદ ઘડિયાળ ઉદ્યોગના કાંટા દોડ્યા

- text


50 ટકા સ્ટાફ અને સરકારની ગાઈડ લાઈનના ચુસ્ત અમલ સાથે ઘડિયાળના યુનિટો શરૂ

મોરબી : મોરબી શહેરમાં દિવસે ને દિવસે વધતા જતા કોરોના કેસોની સંખ્યા જોતા મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝે 12 જુલાઈથી એક સપ્તાહ સુધી સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી હતી. જેમાં 12 જુલાઈથી 19 જુલાઈ સુધી મોરબીના ઘડિયાળ ઉધોગે સ્વૈચ્છિક લોકડાઉન પાળ્યું હતું. આ સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થતાં ગઈકાલથી ઘડિયાળ ઉધોગ ધમધમી ઉઠ્યો છે અને 50 ટકા સ્ટાફ અને સરકારની ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે ઘડિયાળના યુનિટો શરૂ કરવામાં આવ્યા છે.

- text

મોરબી શહેરમાં અગાઉ કોરોના કેસો ચિંતાજનક હદે વધ્યા હતા. આથી, સ્ટાફની સલામતી જણાવવા માટે મોરબીના ક્લોક ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારોએ ક્લોક મેન્યુફેક્ચર યુનિટોને 12 જુલાઈથી એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ક્લોક ઈન્ડસ્ટ્રીઝમાં મોટેભાગે આજુબાજુના ગામડાઓમાંથી મહિલાઓ જ કામ કરવા આવતી હોય, ગામડાઓમાં વધુ સંક્રમણ ફેલાવવાની દહેશત હોવાથી મોરબીના ઘડિયાળ ઉધોગમાં એક અઠવાડિયા સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવ્યું હતું. આ સ્વૈચ્છિક લોકડાઉન ગઈકાલે પૂરું થતા ઘડિયાળ ઉધોગના 200 થી વધુ નાના-મોટા યુનિટો કાર્યરત કરવામાં આવ્યા છે.

મોરબી ક્લોક એસોસિએશના પ્રમુખ શશાંક દંગીએ જણાવ્યું હતું કે કોરોનાને હરાવવા માટે હવે લોકડાઉન એ ઉપાય નથી. પણ કોરોનાથી સાવચેત રહીને રૂટિન કામ રાબેતા મુજબ કરી શકાય એમ છે. તેથી, કોરોનાને ટેકલ કરવા માટે ઘડિયાળ ઉધોગ ફરી શરૂ કરવામાં આવ્યો છે અને 50 ટકા સ્ટાફ અને સરકારની ગાઈડ લાઈનના ચુસ્ત અમલ સાથે ઘડિયાળ સહિતના યુનિટો શરૂ કરવામાં આવ્યા છે. જોકે લોકડાઉનને કારણે ડીમાંડ સાવ ઘટી ગઈ છે. તેથી, ઘડિયાળ ઉધોગને માર પડ્યો છે.

- text