શેરડીનો યોગ્ય ભાવ ન મળતા માનસરના ખેડુતે ઉભો પાક સળગાવ્યો

- text


માનસર ગામના ખેડૂતે છ વીઘામાં શેરડીનું વાવેતર કર્યું હતું પરંતુ ભાવ ન મળ્યો

હળવદ : હળવદ તાલુકાના માનસર ગામે દર વર્ષે મોટાભાગે ખેડૂતો શેરડીનું વાવેતર કરતા હોય છે. પરંતુ આ વર્ષે શેરડીનો પાક તૈયાર થતાંની સાથે જ કોરોના મહામારીને લઇ લોકડાઉન જાહેર કરાયું હતું. જેને કારણે શેરડીના ખરીદદારો ન મળતાં ખેડૂતો શેરડીનો પાક સળગાવી નાખવા તરફ વળ્યા છે. ત્યારે આજે માનસર ગામના વધુ એક ખેડૂતે શેરડીનો ઊભો પાક સળગાવી નાખ્યો છે.

- text

માનસર ગામે રહેતા નવીનભાઈ ગોહિલ નામના ખેડૂતે પોતાની છ વીઘા જમીનમાં શેરડીનું વાવેતર કર્યું હતું. જોકે આ શેરડીનો પાક તૈયાર થઇ ગયા બાદ યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તેમજ થોડા દિવસ પહેલા પણ માનસર ગામના જ એક અન્ય ખેડૂત દ્વારા યોગ્ય ભાવ ન મળતા શેરડીનો ઊભો વાળ સળગાવી દીધો હતો ત્યારે વધુ એક ખેડૂત દ્વારા શેરડીના ઊભા પાકને સળગાવી દેવાનો બનાવ સામે આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં જે શેરડીનો પાક તૈયાર થાય છે. આ શેરડી મોટાભાગે હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકામાં પણ રસના ચીચુડામાં વપરાતી હોય છે. જોકે લોકડાઉનના કારણે એ બંધ રહેતા શેરડીના કોઈ ખરીદદારો મળ્યા ન હતા.

- text