મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ બે મહિના બાદ થશે શરૂ : ડિમાન્ડનો પ્રશ્ન હજુ યથાવત રહેશે

- text


સ્થિતિ સામાન્ય થતા બેથી ત્રણ મહિના જેટલો સમય લાગશે : મની ક્રાઈસીસની સમસ્યા વિકટ બનશે

મોરબી : મોરબીનો વિશ્વ વિશ્વ વિખ્યાત ઘડિયાળ ઉદ્યોગ માટે ખરાબ સમય હવે વીતી ગયો હોય સારો સમય હવે નજીક હોવાનું જણાય રહ્યું છે. કારણકે અનલોક-1મા મળેલી વધુ છૂટછાટથી ઘડિયાળ ઉદ્યોગ પુનઃ ધમધમવા માટે તૈયાર થયો છે. અને નિષ્ણાંતોના જણાવ્યા મુજબ અંદાજે બેથી ત્રણ મહિનામાં ઉદ્યોગની સ્થિતિ સામાન્ય થઈ જશે.

મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ દેશ- વિદેશમાં જાણીતો છે. અહીં ઘડિયાળના નાના- મોટા 125 જેટલા યુનિટો આવેલા છે. જેનું વાર્ષિક ટર્ન ઓવર અંદાજે 1200 કરોડનું છે. કુલ 20 હજાર જેટલા કામદારો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ ઉદ્યોગની હાલની સ્થિતિ અંગે ક્લોક ઇન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ શશાંકભાઈ દંગીએ જણાવ્યું કે લોકડાઉન-1, 2, 3 અને 4માં આ ઉદ્યોગ સજ્જડ બંધ રહ્યો હતો. લોકડાઉન-4માં થોડી છૂટછાટ હોવા છતાં પણ લોકલ કે વૈશ્વિક માર્કેટમાં ડિમાન્ડ નહિવત હોવાના કારણે આ ઉદ્યોગ શરૂ થઈ શક્યો ન હતો. હાલ કપરી પરિસ્થિતિમાં લોકો જીવન જરૂરિયાતની ચીજ પાછળ જ ખર્ચ કરી રહ્યા છે. ત્યારે ક્લોક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં ન આવતી હોય સમગ્ર વિશ્વમાં તેની ડિમાન્ડ નહિવત છે.

- text

હાલ અનલોક-1મા નાના દુકાનદારોને વધુ છૂટ આપવામાં આવી છે. જેથી ઘડિયાળ ઉદ્યોગ હવે શરૂ થશે. આ ઉદ્યોગના બે મહિના બાદ શ્રી ગણેશ થવાના છે. વધુમાં આ ઉદ્યોગ પહેલેથી જ મંદીમાં હતો. તેમાં પણ લોકડાઉનનો માર પડતા ઉદ્યોગકારોની હાલત દયનિય થઈ ગઈ છે. 60 ટકા જેટલા ઉદ્યોગકારોએ તો ભાડે રાખેલા ગોડાઉનો ખાલી કરી દીધા છે. અને એવી પણ માહિતી મળે છે કે એક ઉદ્યોગકાર તો આ ઉદ્યોગની ખરાબ હાલત જોઈને ફૂડના ધંધા તરફ વળી ગયા છે.

ક્લોક ઉદ્યોગને હજુ શરૂઆતના દિવસોમાં સેટ થવામા થોડો સમય લાગશે.સ્વદેશી વસ્તુઓના વપરાશ વિષેની દેશના નાગરિકોની જાગૃતતા દેશના ઉદ્યોગોને અને દેશને લાભદાયી થશે. સ્વાભાવિક રીતે મની ક્રાઈસીસની સમસ્યા વિકટ બનશે. જેથી નવા ઓર્ડર સાથે કેસ પેમેન્ટની ડિમાન્ડ મજબૂતાઈથી કરવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

- text