ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સરવડ ગામ પાસે એસટી બસ રોડથી નીચે ઉતરી ગઈ

- text


ડ્રાઇવરને ચાલુ બસે ચક્કર આવતા બનેલા બનાવમાં કોઈ જાનહાની નહીં 

માળીયા મી. : આજે સવારે મોરબી-ભાવપર રૂટની બસ રોડથી નીચે ઉતરી જતા થોડીવાર માટે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

બનાવની સ્થળ પરથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી- ભાવપર રૂટની GJ 18 Y 5193 નંબરની બસ આજે સવારે સરવડ ગામ નજીક પહોંચી ત્યારે ચાલુ બસે ડ્રાઇવરને અચાનક ચક્કર આવી જતા તેણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડથી નીચે ગરટમાં ઉતરી ગઈ હતી. જો કે બસની સ્પીડ ઓછી હોવાથી બસ સીધી જ નીચે ઉતરી હતી અને પલ્ટી ખાઈ જતા બચી ગઈ હતી. બસમાં સવાર પેસેન્જરોને થોડીવાર માટે તો શું થઈ ગયું એ સમજાયું જ નહીં પણ પરિસ્થિતિ પામી જતા પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

- text

જાણવા મળતી વિગતો પ્રમાણે બસ ડ્રાઇવરનુ નામ જયેશભાઇ નાગલા છે. જેમને બીપી વઘઘટની બિમારી હોવાથી ચક્કર આવી બેભાન થઈ જતા આ અકસ્માત સર્જાયો હતો. હાલ 108 દ્રારા ડ્રાઇવર જયેશભાઇ નાગલાને વધુ સારવાર માટે મોરબી ખસેડાયેલ છે. જો કે આ અકસ્માતમાં સદનસીબે અન્ય કોઈ જાનહાની ન થવાથી તંત્ર સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

- text