દેવાબાપાની જગ્યાએ થયેલા ફાયરિંગની ઘટનામાં મહંત સહીત વધુ ત્રણની ધરપકડ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામે દેવાબાપાની જગ્યાની જમીન પચાવી પાડવા માટે થયેલા હુમલા અને તોડફોડની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકે થોડા દિવસો પહેલા મહંત સહિત 11 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ ગઈકાલે અન્ય ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જયારે બાકીના 3 શખ્સોની શોધખોળ ચાલુ છે.

થોડા દિવસ પહેલા ધનજીભાઇ હમીરભાઇ રોજાસરા (ઉ.વ.૪૦, રહે. રાજપરા, તા.ચોટીલા)એ દલસુખભાઇ વિરજીભાઇ (રહે. દેવાબાપાની જગ્યા, વાંકાનેર બાઉન્ટ્રી પાસે) નારણભાઇ, વિરજી ભગત તથા સાતથી આઠ અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ દેવાબાપાની જગ્યાના મહંતના કૌટુંબિક ભાઈ ધનજીભાઈ પાસેથી તેમને જમીન લીધી હતી જો કે તેના ઉપર કબજો કરી લેવામાં આવ્યો હોવાથી તે જમીન તેને રાજકોટના દરબારને વેચી હતી અને આ જમીન બાબતે મનદુઃખ હતું તેવામાં ધનજીભાઈ હમીરભાઈ કોળી જમીનની માપણી કરવા માટે દેવાબાપાની જગ્યાએ ગયા હતા ત્યારે દેવાબપાની જગ્યાના મહંત વીરજી ભગત અને તેના દીકરા દલસુખભાઈ વિરજીભાઈ અને નારણભાઈ સહીતના લોકોને બોલાવ્યા હતા ત્યારે નારણભાઈ દ્વારા તેના પાસે રહેલા જોટામાંથી ફાયરીંગ કરવામાં આવ્યું હતું.

- text

આ બનાવમાં ગઈકાલે વધુ ત્રણ આરોપીઓ મુખ્ય સુત્રધાર જગ્યાના મહંત વિરજી ભગત, મેસરિયા ગામના મુકેશભાઈ ધનજીભાઈ જીયાણી અને રાજકોટના રહીશ ભરતભાઈ નાથાભાઈ સોરાણીની ધરપકડ કરેલી છે. જો કે, યુવાન ઉપર ફાયરીંગ કરનાર નારણભાઈ સહીત હજુ ત્રણ આરોપીઓને પકડવાના બાકી હોવાથી તેને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ બનાવમાં ગત તા. 21 જાન્યુઆરીના રોજ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પાંચ આરોપીઓ મહંતના દીકરા દલસુખભાઈ વિરજીભાઈ નાકીયા, રમેશભાઈ અરજણભાઈ પરબતાણી, ભાનુભાઈ ગોવિંદભાઈ નાકીયા, લવાભાઇ ગોવિંદભાઈ નાકીયા અને કાળુભાઈ પોલાભાઈ સોરાણીની ધરપકડ કરવામાં આવેલ હતી.

- text