- text
એલ.આર.ડી.માં થયેલા અન્યાય મુદે પોતાનો જીવ આપી દેનાર મ્યાજરભાઈને મૌન પાળી શ્રધ્ધાંજલિ અપાઇ
હળવદ : વર્ષ 2018માં લેવાયેલ એલ.આર.ડી.ની પરીક્ષામાં ગીર બરડા અને આલેચના માલધારી સમાજને થયેલા અન્યાય મુદ્દે આજરોજ હળવદ ખાતે માલધારી સમાજ દ્વારા મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું સાથે જ એલ.આર.ડીની પરીક્ષામાં થયેલ અન્યાય મુદ્દે તાજેતરમાં જ પોતાનો જીવ આપી દેનાર માલધારી સમાજના યુવાનને શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી.
લોકરક્ષક દળની લેવાયેલી પરીક્ષાનું મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રના ગીર ગઢડા અને આલેચ વિસ્તારના અનુસૂચિત જાતિના રબારી, ભરવાડ, ચારણ સમાજના ઉમેદવારોની બાદબાકી કરી નાખવામાં આવી છે. જેને કારણે છેલ્લા ત્રણેક માસથી માલધારી સમાજ ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યો છે સાથે જ તાજેતરમાં જ મ્યાજરભાઈએ એલ.આર.ડી.ની પરીક્ષામાં થયેલ અન્યાય ને લઈ પોતાના પ્રાણ આપી દીધા છે. જેને કારણે માલધારી સમાજમાં રાજ્ય સરકાર પ્રત્યે ભારે રોષ ભભૂકી ઉઠયો છે.
- text
ત્યારે આજે હળવદ ખાતે આવેલ બ્રાહ્મણની ભોજન શાળા ખાતે હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકના માલધારી સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા એલ.આર.ડીની પરીક્ષા મુદ્દે શહીદ થયેલા યુવાનને શ્રધ્ધાંજલી આપી શહેરના મુખ્ય માર્ગ ઉપર મૌન રેલી કાઢી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી મામલતદારને વિવિધ ૧૨ મુદ્દાનું આવેદનપત્ર આપ્યું હતું અને વહેલામાં વહેલી તકે માલધારી સમાજને થયેલ અન્યાય દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ તકે હળવદ માલધારી સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
- text