હળવદ તાલુકાના કીડી બાદ ટીકર રણમાં પણ નર્મદાના પાણી ઘૂસ્યા

- text


સતત બીજા દિવસે રણમાં નર્મદાના પાણી ઘુસી જતા મીઠું પકવતા અગરીયા પરીવાર પર માઠી અસર

હળવદ: હળવદ તાલુકાના રણ કાઠા વિસ્તારમાં નર્મદા કેનાલના પાણી રણ સુધી પહોંચતા મીઠું પકવતા અગરીયા પરિવારોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે સાથે જ મોટા પાયે નુકસાની થયાનુ અગરિયા પરિવારો જણાવી રહ્યા છે ત્યારે ગઈ કાલે કીડી રણકાંઠા બાદ આજે ટીકર રણકાંઠામાં નર્મદાનું પાણી ઘુસી જતા અગરિયાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

ગઈકાલે હળવદ તાલુકાના કીડી ગામના રણકાંઠા વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી રણમાં ઘુસી જતા અગરિયાઓ દ્વારા મીઠું પકવવા બનાયે અગરમાં કેનાલનું પાણી ભરાઇ જતા અગરિયાઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. જેથી, અગરીયાઓને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે આજે બીજા દિવસે પાણી ટીકર રણકાંઠા વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓના અગરમાં પહોંચતા મીઠું પકવતા અગરીયા પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે અહીં સવાલ એ થાય છે કે છેલ્લા બે દિવસથી રણ કાઠા સુધી નર્મદા કેનાલનું પાણી પહોંચી જાય છે તેમ છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા કેમ કોઈ પાણી રોકવા કાર્યવાહી કરવામાં આવતી નથી આવી કડકડતી ઠંડીમાં પણ અગરિયાઓ રાત દિવસ મહેનત કરી મીઠું પકવતા હોય છે ત્યારે તેઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જેથી, તાત્કાલિક ધોરણે રણ તરફ આવતું પાણી રોકવા અગરિયાઓ માંગ કરી રહ્યા છે.

- text

અગરિયા પરિવારને તાત્કાલિક ધોરણે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે : સરપંચ

ટીકર રણકાંઠા વિસ્તારમાં નર્મદાનું પાણી ઘુસી જતા અગરિયા પરિવારો ને મોટો ફટકો પડયો છે. અગરિયા પરિવારો મીઠું પકવીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે પરંતુ રણમાં નર્મદાનું પાણી આવતા અગરિયા પરિવારની મહેનત પાણીમાં ગઈ છે. જેથી, તાત્કાલિક ધોરણે અગરિયા પરિવારો ને વળતર ચૂકવવામાં આવે તે બાબતે અમારા દ્વારા લાગતા વળગતાને લેખિત રજૂઆત કરી માંગ કરીશું તેમ ટીકર ગામના મહિલા સરપંચ સંગીતાબેન વિજયભાઈ પટેલ એ જણાવ્યું હતું.

- text