મોરબીમાં ફુલછાબ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

- text


મોરબીના પત્રકાર સુરેશ ગોસ્વામીના માતૃશ્રીના સ્મરાણર્થે કેમ્પ યોજાયેલ : 600થી વધુ દર્દીઓએ લાભ લીધો

મોરબી : ફુલછાબ માનવ સેવા ટ્રસ્ટ તથા એચ.સી.જી. હોસ્પિટલ રાજકોટની ડોક્ટર્સ ટીમ, ઓમ શાંતિ વિદ્યાલય ટી. ડી. પટેલ અને બોલબાલા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અને મોરબીના ફુલછાબના બ્યુરો ચીફ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીના માતૃશ્રી સવિતાબેન બાબુગીરી ગોસ્વામીના સ્મરાણર્થે મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે મોરબીમાં શનાળા રોડ પર સરદારબાગ સામે આવેલ ઓમ શાંતી વિદ્યાલય ખાતે ગઈકાલે તા. ૧૫ ડિસેમ્બરને રવિવારના રોજ સવારે ૯ થી ૧ દરમિયાન વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ફુલછાબ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર્દીઓને નિદાન સાથે દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પનો લાભ લેવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વહેલી સવારથી જ દર્દીઓ ઉમટી પડ્યા હતાં. અને આ કેમ્પમાં 600થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. દર્દીઓના ઉમટેલા પ્રવાહને લીધે કેમ્પ બપોરના ૧ વાગ્યાના બદલે ૩ વાગ્યા સુધી ચાલુ રાખ્યો હતો. આ કેમ્પમાં એચ.સી.જી. હોસ્પિટલના ૧૦ ડોકટરોની ટીમએ વિવિધ રોગના નિદાન કરી દર્દીઓને સારવાર આપી હતી. જેમાં આંખ, હાડકા, પેટ, આંતરડા, હૃદય, વાલ્વની તકલીફ, ઘૂંટણ, સાંધાના દુઃખાવા, શરદી, કેન્સર, દાંત, નાક, કાન સહિતના રોગોનો ઈલાજ કરી દર્દીઓને દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પમાં ફુલછાબના મેનેજર નરેન્દ્ર ઝીબા, ડૉ. અમિત હાપાણી, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પાલિકા પ્રમુખ કેતન વિલપરા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય, એચ.સી.જી. હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડૉ. મનીષ અગ્રવાલ સહિત ડોકટરની ટીમ ઉપસ્થિત રહી હતી.

- text

આ કેમ્પમાં રાજકોટની સાવલિયા હોસ્પિટલના ડૉ. અનુરથ સાવલિયા ટીમએ સેવા આપી હતી. જેની સૌથી ૧૫૦થી વધુ આંખના દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ હાડકાની બીમારીના દર્દીઓ વધુ જોવા મળ્યા હતાં. આ કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવો અને દર્દીઓ એ ફુલછાબ માનવ સેવા ટ્રસ્ટના સેવાયજ્ઞને બિરદાવ્યું હતું. આ તકે મહંત ભાવેશ્વરીબેન એ જણાવ્યું હતું કે ફુલછાબ એ અખબારી ધર્મની સાથે સેવા અને સદભાવનાનો ધર્મ બજાવ્યો છે. આ કેમ્પમાં જરૂરિયાતવાળા દર્દીઓને કાડીયોગ્રામ વિનામૂલ્યે કાઢી આપવામાં આવ્યો હતો. આંખના દર્દીઓને ચશ્મા પણ વિના મુલ્યે આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ઓમ શાંતી વિદ્યાલયના ટી. ડી. પટેલ એ બનાવેલ કેન્સર, ડાયાબીટીસ સહિતના ૫૦ રોગોમાં ઉપયોગી અમૃત પુષ્પ આયુર્વેદિક દવા દર્દીઓને વિનામૂલ્યે આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા મોરબીના ફુલછાબના બ્યુરો ચીફ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી, ઓમ શાંતિ વિદ્યાલયના ટી. ડી. પટેલ, આચાર્ય સંજયભાઈ વિરડીયા, હંસરાજ ડાભી સહિત શિક્ષક સ્ટાફ તેમજ મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ ગામી અને ફુલછાબના હિતેશભાઈ લાંબા સહિતના સ્ટાફ પણ જોડાયો હતો.

- text