વાંકાનેર : અપહૃત બાળકની લાશ દોરડા વડે બાંધેલી હાલતમાં કુવામાંથી મળી

- text


જે જગ્યાએથી અપહરણ થયું હતું તે દેવાબાપાની જગ્યાની પાછળના ભાગે કુવામાંથી લાશ મળી : ડીવાયએસપી, એસઓજી, એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડરી પાસે આવેલ દેવાબાપની જગ્યા પાસેથી બે દિવસ પહેલા અપરણ કરાયેલા પાંચ વર્ષના માસુમ બાળકની આજે આ જગ્યાની પાછળના કુવામાંથી દોરડું અને પાઇપ સાથે બાંધેલી હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઇ છે. આ ઘટનાને પગલે ડીવાયએસપી, એલસીબી, એસઓજી તથા વાંકાનેર પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર બાઉન્ડરી નજીક આવેલ મહંત દેવાબાપની જગ્યા પાસેથી બે દિવસ પહેલા એક પાંચ વર્ષના માસુમ બાળક પ્રિન્સનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બનાવ બાદ વાંકાનેર તાલુકા પોલીસ તથા એલસીબી અને એસઓજીએ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. પણ અપહરણ કરાયેલા બાળકની કોઈ કડી મળી ન હતી. દરમ્યાન આજે જે જગ્યાએથી બાળકનું અપહરણ થયું હતું તે દેવાબાપાની જગ્યાની પાછળના કુવામાંથી આ અપહૃત બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. જે અંગે સ્થાનિક ગ્રામજનોએ જાણ કરતા ડી.વાય.એસ.પી. બન્નો જોશી, એલસીબી અને એસઓજી તથા વાંકાનેર તાલુકા પીએસઆઇ શકિતસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કુવામાંથી બાળકની લાશ બહાર કાઢીને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

- text

વધુમાં જણવા મળતી વિગતો મુજબ આ બાળકની લાશમાં દોરડું બાંધેલું હતું અને તેના પાછળના ભાગે પાઇપ બાંધેલો હતો.જેથી કોઈએ બાળકની હત્યા કરીને તેની લાશને આ રીતે બાંધીને કૂવામાં ફેંકી દીધી હોવાની પ્રબળ શંકાઓ ઉઠી છે. હાલ પોલીસે ફોરેન્સિક પીએમ બાદ આ બનાવનું સાચું કારણ જાણવા મળશે એમ કહ્યું હતું. જોકે અપહરણ કરાયેલા બાળકની લાશ મળી આવતા ઘેરું રહસ્ય સર્જાયું છે. હાલ પોલીસે હતભાગી બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી આ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા સઘન તપાસ હાથ ધરી છે.

- text