નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયાલાલ કી..મોરબીમાં કાલે કૃષ્ણ જન્મોત્સવની ઉમંગ ભેર ઉજવણી કરાશે

- text


સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મંદિરેથી જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળશે : ઠેરઠેર મટકી ફોડ કરીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના હર્ષભેર વધામણાં કરાશે

મોરબી : મોરબીમાં કાલે નંદોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે.જ્યારે આવતીકાલે શનિવારે જન્માષ્ટમી નિમિતે સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મંદિરેથી ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને ઠેરઠેર મટકી ફોડ કરીને નંદલાલાના જન્મોત્સવના હર્ષભેર વધામણાં કરાશે.

સમગ્ર જગતને ગીતાના માધ્યમથી કર્મનો સિદ્ધાંત આપનાર ભગવાન શ્રીકૃષ્ણનો આવતીકાલે ગોકુળઅષ્ટમીના દિવસે જન્મદિવસ છે. ત્યારે દેવકીનંદન ના જન્મોત્સવના હર્ષભેર વધામણાં કરવામાં મોરબીવાસીઓમાં અધિરા બન્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ઉમગ ઉલ્લાસભેર મનાવવાના ઠેરઠેર આયોજનો કરવામાં આવ્યા છે. જન્માષ્ટમી નિમિતે મોરબી શહેરને ગોકુળીયા ગામમાં ફેરવી દઈને રંગબેરંગી ધજાકા પતાકા સહિતનો શણગાર કરવામાં આવ્યો છે. જ્યારે તમામ હિન્દૂ સંગઠનો દ્વારા આવતીકાલે જન્માષ્ટમીના પાવન અવસરે સવારે શહેરના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મંદિર ખાતેથી ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં મોટી માનવ મહેરામણ ઉમટી પડશે. શોભાયાત્રા મુખ્ય રાજમાર્ગો પર ફરીને ઠેરઠેર મટકી ફોડ કરીને નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલ કી..ના ગગનભેદી નાદ સાથે જશોદાના જાયાનો જન્મોત્સવ રંગેચંગે મનાવશે. જોકે શોભયાત્રા દરમ્યાન વિવિધ સર્વભાવી સંગઠનો દ્વારા ભાવિકો માટે પ્રસાદ ફરાળ અને સરબત, ઠંડા પાણી સહિતનું વિતરણ કરવામાં આવશે.આ ઉપરાંત મોરબી શહેરીના દરેક વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર મટકી ફોડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને જન્માષ્ટમીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે.

- text

રાત્રીના 12 કલાકે ભવાની ચોકમા મટકી ફોડનો કાર્યક્રમ
તા. 24/8/2019 શ્રાવણ વદ આઠમ ને શનિવાર ના રોજ રાત્રીના 12 કલાકે ભવાની ચોકમા મટકી ફોડનો કાર્યક્રમ રાખેલ છે. આયોજકો દ્વારા દરેક ધર્મ પ્રેમી ભાઈયો ત્થા બહેનોને આ મટકી ફોડ કાર્યક્રમનો લાભ લેવા પધારવા ભવાની ચોક મિત્ર મંડળ નું ભાવભર્યું નિમંત્રણ છે.

- text