મોરબીમાં સિરામીક યુનિટમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો : હત્યાની આશંકા

- text


તાલુકા પોલીસે મૃતક મહિલાનો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એક સીરામીક કારખાનાની મજૂરની ઓરડીમાંથી એક મહિલાના કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ મહિલાને ગળેટુંપો આપીને હત્યા કર્યાની પ્રબળ શંકા વચ્ચે પોલીસે હાલ મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા સઘન તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલૂકા પોલીસને ગઈકાલે સાંજે 8 30 વાગ્યાના અરસામાં જાણ થઈ હતી કે , લખધીરપુર રોડ પર આવેલ સ્માઈલ સીરામીક યુનિટની ઓરડીમાંથી ગંધ આવે છે અને મહિલાનો મૃતદેહ પડ્યો છે જેમાં બનાવની જાણ થતાંની સાથે જ મોરબી તાલુકા પીએસઆઈ એમ વી પટેલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્માઈલ સીરામીક યુનિટમાં મજૂરની ઓરડીમાં બીજા માળે રૂમ માંથી મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલાની પ્રાથમિક તપાસ કરતા મૃતક મહિલાનું નામ રાધાબેન સોનુભાઈ મૈયર ઉ.વ.30 મૂળ ભોપાલ મધ્યપ્રદેશની હોવાનું ખુલ્યુ હતું જે લખધીરપુર રોડ પર આવેલ સ્માઈલ સીરામીક યુનિટમાં રહી મજુરી કામ કરી ગુજરાન ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં મોરબી તાલુકા પોલીસે મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડતા ફરજ પરના ડોકટરે મહિલાનું ચાર દિવસ પહેલા મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરી અને મૃતદેહની સ્થિતિ જોઈને ગળે ટુપો આપી હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી હતી જેથી મોરબી તાલુકા પીએસઆઈ એમ વી પટેલે ક્યાંય કાચું ન કપાય એ માટે મહિલાના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાનો ત્વરિત નિર્ણય લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

- text