- text
મોરબી : મોરબી જિલ્લાના ચકચારી સિંચાઈ કૌભાંડમાં હજુ ધરપકડનો સિલસિલો યથાવત રહ્યો છે. આ કૌભાંડમાં હળવદ તાલુકાની રણમલપુર ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની સંડોવણી ખુલતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સે કેટલા રૂપિયા ચાઉ કર્યા તે દિશામાં હાલ તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
- text
મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લાના નાની સિંચાઈ કૌભાંડમાં અનેક લોકોની સંડોવણી ખુલતા છેલ્લા ઘણા સમયથી ધરપકડનો દોર ચાલી રહ્યો છે. જે હજુ પણ યથાવત રહ્યો છે. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાલમાં રણમલપુર ગામની ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુનાભાઈ દેવાભાઈ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પુનાભાઈ રાઠોડ બાંધકામ મંડળીમાં હોય તેઓએ પોતે પેટાકામ રાખ્યું હતું. બાદમાં બીલના કોઈ પ્રશ્નના લીધે તેઓ દ્વારા નાની સિંચાઇ યોજનાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું લેખિતમાં દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ કામગીરી સારી થઇ ગઇ હોવાનું પણ પ્રમાણપત્ર દેવામાં આવ્યું હતું. હાલ પોલીસે ધરપકડ કરીને ભૂમિકા શુ હતી અને કેટલા રૂપિયા હજમ કર્યા તે દિશામાં સઘન તપાસ ચલાવી છે.
- text