મોરબીમાં ૧૨૪ ઘડિયાલગ્ન થકી સમાજના ૧૨.૪૦ કરોડ બચત

- text


ઉમિયા સમૂહસમૂહ લગ્ન સમિતિ દ્વારા તમામ નવ દંપતિઓને રોટલો ખવડાવી સન્માન કરાયું : સામાજિક ક્રાંતિને બહોળો પ્રતિસાદ આપનાર મોરબી અપડેટ ટીમનો આભાર વ્યક્ત કરાયો

મોરબી : ઉમિયા સમુહલગ્નની એક સામાન્ય ટકોરને ઝુંબેશરૂપે ઉપાડી લઈ મોરબીના પાટીદાર સમાજ દ્વારા સામાજિક ક્રાંતિરૂપે લગ્નમાં ઝાકમઝોળ અને ભપકાને કોરાણે મુકતા છેલ્લા એક વર્ષમાં ૧૨૪ નવયુગલો ઘડિયાલગ્નથી પ્રભુતામાં પગલાં પાડ્યાં છે, જો કે સાવ મામુલી લાગતી આ પહેલીથી સમાજના ઓછામાં ઓછા ૧૨.૪૦ કરોડથી વધુની રકમ બચત થઈ છે.

આજના મોંઘવારીના યુગમાં ગરીબ હોય કે તવંગર સૌ કોઈને સમાજ ના ડરથી ભપકા વાળા લગ્ન સમારોહ મને ક મને યોજવા પડે છે ત્યારે મોરબી ઉમિયા સમૂહલગ્ન સમિતિ દ્વારા ભપકાદાર લગ્નને બદલે ઘડિયાલગ્ન કરવાની ટકોર કરવામાં આવતા જોત જોતામાં આ ટકોર એક ઝુંબેશ બની ગઈ અને પાટીદાર સમાજના તમામ વર્ગના લોકોએ સાદગીપૂર્ણ રીતે ઘડિયાલગ્નની વાતને વધાવી લીધી અને આશ્ચર્યની બાબત તો એ છે કે આ નવી પહેલ મોરબીના સીમાડા વટાવી અમદાવાદ અને સુરત સુધી પહોંચી સાથે – સાથે ખરબોપતિ સમાજના મોભીઓ પણ પોતાના સંતાનોના લગ્ન આ નવી સાદગીપૂર્ણ રીતે કરતા થઈ ગયા.

આ વર્ષે મોરબીમાં કુલ ૧૨૪ આવા ઘડિયાલગ્ન યોજાતા પાટીદાર સમાજની પાટીદાર કન્યા કેળવણી મંડળ,ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ, ઉમિયા સમૂહ લગ્ન સમિતિ, ઉમિયા સમાધાન પંચ, ઉમિયા મેરેજ બ્યુરો,જુદી – જુદી પાંચ સંસ્થાઓના સન્માનની સાથે – સાથે તમામ નવદંપતિને લગ્ન બાદ રોટલો ખવડાવવાની રસમ મુજબ પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા એક છત્ર નીચે લાવી ભોજન કરાવી તમામ વધુઓને ચાંદીનો સિક્કો ભેટ આપવામાં આવ્યો હતો.

- text

આ તકે પાટીદાર ભામાશાઓ અને અગ્રણીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સાથો – સાથ મંચ પરથી તમામ નવયુગલોને ભૃણહત્યા ન કરવા પણ સંકલ્પ લેવડવામાં આવ્યા હતા અને વિશેષતઃ આગામી લોકસભાની ચૂંટણી આવતી હોય જિલ્લા વહીવટી તંત્રએ તમામ લોકોને અવશ્ય મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા.

આ તકે ઉમિયા સમૂહલગ્ન સમિતિ દ્વારા ટીમ મોરબી અપડેટનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવ્યુ હતું કે પાટીદાર સમાજની આ પહેલમાં મોરબી અપડેટ સહિતના માધ્યમો દ્વારા તમામ ઘડિયાલગ્નના સમાચાર પ્રસિદ્ધ કરી સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરી અન્ય લોકોને પણ પ્રેરણા આપી છે અંતમાં પાટીદાર સમાજ દ્વારા આગામી વર્ષે હજુ પણ દરેક સમાજના લોકો લગ્નપ્રસંગમાં થતા ખોટા ખર્ચ બંધ કરી વધુને વધુ લોકો ઘડિયાલગ્નની પરંપરામાં જોડાય તે માટે પ્રયાસ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોવિંદભાઇ વરમોરા, બેચરભાઈ હોથી,વલમજીભાઈ અમૃતિયા, ઠાકરસીભાઈ અધારા, ડી.કે. પટેલ,શિવલાલભાઈ ઓગણજા, પોપટભાઈ કાગથરા,જયંતીભાઈ પટેલ, ગોપાલભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. ભાવેશ જેતપરિયા એ કર્યું હતું

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text