મોરબીના ૩૫૦૦ ગરીબ બાળકોને ફટાકડા મીઠાઈ વિતરણ કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ

- text


દિલના દિવા પ્રજ્વલિત કરી ગરીબ બાળકોના જીવનમાં આનંદના અજવાળા પાથર્યા

મોરબી : સેલ્ફીમાં રાચતો આજનો માનવી સંવેદના હિન બની પોતાનું વિચારવામાં મશગુલ બન્યો છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સમાજના છેવડાના માનવી અને તેમાં પણ ખાસ કરીને ગરીબ બાળકો પણ અન્ય બાળકોની જેમ આનંદ ઉઠાવી મીઠાઈ ખાઇ ફટાકડા ફોડી શકે તે માટે આજે ઝૂંપડપટ્ટીના ૩૫૦૦ બાળકોને હલવાનું મનભાવન ભોજન કરાવી ફટાકડા વિતરણ કરાયું હતું.

યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીના જણાવ્યા મુજબ દિલના દીવાઓ પ્રજલિત કરી આનંદના અજવાળા કરવાનો અવસર એટલે દિવાળીનો તહેવાર, દિવાળી અને નવું વર્ષ એ માત્ર કેલેન્ડર બદલવાની ઘટના નથી પણ એક નવી શરૂઆત કરવાનો અવસર છે.

- text

વધુમાં તેઓ ઉમેરે છે કે, ઘર સાફ થઈ ગયાં પણ દિલનું શું? આ તહેવાર હળવાં થવાનો મોકો આપે છે, સવાલ એ જ હોય છે કે આપણે આ મોકાનો ઉપયોગ કરીએ છીએ કે નહીં? દર વર્ષે રિઝોલ્યુશન પાસ થાય છે અને થોડાક દિવસમાં તૂટી પણ જાય છે. કંઈ છૂટતું નથી, કંઈ બદલાતું નથી, માત્ર રોજે રોજ તારીખિયાનું એક પાનું ખરતું જાય છે અને જિંદગીનો એક-એક દિવસ ઘટતો જાય છે. દિવસો તો વિતવાના જ છે, એને કોઈ રોકી શકવાનું નથી.

પરંતુ આપણે જો એ ચાલ્યા જતાં દિવસોનો અફસોસ ન કરવો હોય તો શ્રેષ્ઠ માર્ગ એ છે કે એને શ્રેષ્ઠ રીતે જીવી લેવા!!! એટલા માટે જ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી માં રેહતા જરૂરિયાત મંદ ૩૫૦૦ જેટલા નાના બાળકોને આજે ધનતેરસના દિવસે વિવિધ ફટાકડાની કીટ તથા સ્વાદિષ્ટ હલવા સાથેનું ભોજન જમાડીને દિવાળીની ઉજવણી કરી અને આવનાર નવા વર્ષમાં પણ આવા સમાજ ઉપયોગી કામ કરવાની નેમ સાથે જીંદગી ને શ્રેષ્ઠ રીતે જીવી લેવાની એક નાનકડી કોશિશ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બાળકોને ફટાકડા તથા મીઠાઈનું વિતરણ હજુ દિવાળીના દિવસ સુધી ચાલુ રાખવામાં આવનાર હોવાનું દેવેનભાઈએ અંતમાં જણાવ્યું હતું.

- text