- text
નવા રાયસંગપુરના મધ્યાહન ભોજનના રસોડામાં અનાજમાંથી જીવાત નીકળતા ચકચાર
હળવદ : હળવદ તાલુકાના નવા રાયસંગપુરના મધ્યાહન ભોજનના રસોડામાં અનાજમાંથી જીવાત નીકળતા ખળભળાટ મચી ગયો છે અને બાળકોને જીવાતવાળા અનાજમાંથી રસોઈ બનાવી પીરસતી હોવાનું બહાર આવ્યું છે જો કે સમગ્ર મામલો ગ્રામજનોની જાગૃતાના પગલે બહાર આવ્યો છે ત્યારે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના નવા રાયસંગપુર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજન યોજના અંતર્ગત ભોજન પીરસવામાં આવે છે તે અનાજમાંથી જીવાતો નીકળતા મધ્યાન ભોજનના સંચાલક પર ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે.
- text
વધુમાં હળવદ તાલુકાના નવા રાયસંગપુર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજન યોજના અંતર્ગત અનાજ પુરૂ પાડવામાં આવે છે પરંતુ મધ્યાન ભોજન કેન્દ્રમાં મુકવામાં આવેલ અનાજમાં જીવાતો પડી હોવાનું ગ્રામજનોને માલુમ પડતા અનાજની તપાસ અર્થે દોડી ગયા હતા અને મધ્યાન ભોજનના અનાજનો જથ્થો તપાસતા ચણામાં જીવાતો અને કિડા નીકળતા ગામ લોકો ભારે રોષે ભરાયા હતા. આ મામલે બાળકો દ્વારા વાલીઓને જાણ કરાઈ હતી જેને પગલે ગામ લોકો દ્વારા ચેકીંગ હાથ ધરાતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો.
આ મામલે ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે, છેલ્લા કેટલાક સમયથી સળી ગયેલા જીવાત વાળા અનાજનું ભોજન બનાવી બાળકોને પીરસવામાં આવી રહ્યું હતું અને આવા અનાજની રસોઈ બનાવી બાળકોને આપવામાં આવશે તો બાળકોના આરોગ્યનું જવાબદાર કોણ ? નાના નાના ભુલકાઓના આરોગ્યની સાથે ચેડા કરતા જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કયારે કરાશે ? તેવા રોષ સાથે ગ્રામજનો દ્વારા સંબંધિત વિભાગોને ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે.
- text