આયુષ્યમાન ભારત યોજના હેઠળ મોરબીમાં દેશનું સૌ પ્રથમ ઓપરેશન

- text


મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારના ગરીબ જીવીબેનને આયુષ હોસ્પિટલમાં સફળતા પૂર્વક knee રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાયું : પ્રધાનમંત્રી કાર્યલાય તરફથી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ મોરબીને અભિનંદન પાઠવવામાં આવ્યા

મોરબી : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ આજે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે દેશનું સૌ પ્રથમ knee રિપ્લેસમેન્ટનું નિઃશુલ્ક ઓપરેશન કરાયું હતું, કાલિકા પ્લોટમાં રહેતા ગરીબ વૃધ્ધા જીવીબેનને પગમાં દુખાવો રહેતો હોય આયુષ્યમાન ભારત યોજના હેઠળ દોઢથી બે લાખના ખર્ચે થતું આ ઓપરેશન વિનામૂલ્યે કરી દેવતા પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી પણ આયુષ હોસ્પિટલ અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

તાજેતરમાં આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આ યોજના હેઠળ સાંધાના દુખાવાનું (knee રિપ્લેસમેન્ટનું) દેશનું પ્રથમ ઓપરેશન મોરબી શહેરમાં થયું છે.

- text

મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા જીવીબેન નામના ૬૦ વર્ષના વૃધ્ધા છેલ્લા ઘણા સમયથી સાંધાના દુખાવાથી પીડાતા હતા. ત્યારે તેઓએ આયુષ હોસ્પિટલનો સંપર્ક સાધ્યો હતો. જ્યા તેઓને આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે માહિતી આપવામાં આવી હતી.

બાદમાં આયુષ હોસ્પિટલના ડો. રાજદિપસિંહ ચૌહાણે વૃધ્ધાનું સાંધાના દુખાવાનું ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન અઢી કલાક જેટલો સમય ચાલ્યું હતું. અંતે આ ઓપરેશન સફળ રહેતા વૃધ્ધાએ હાશકારો અનુભવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન રૂ. ૧.૫ થી ૨ લાખમાં થાય છે. ત્યારે ગરીબ વૃધ્ધાનું આ ઓપરેશન વિનામૂલ્યે થતા તેઓએ હોસ્પિટલ તેમજ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.

આયુષ હોસ્પિટલના ડો. રાજદીપસિંહ ચૌહાણ અને ચેતન અઘારાએ જણાવ્યું હતું કે આયુષમાન ભારત જન આરોગ્ય યોજના હેઠળ દેશનું પ્રથમ સાંધાનું ઓપરેશન કરવાનું ગૌરવ આયુષ હોસ્પિટલને પ્રાપ્ત થયું છે. હાલ આ યોજના માટે આયુષ હોસ્પિટલમાં માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. વધુમાં વધુ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લે માટે અનુરોધ છે.

 

- text