- text
વાંકાનેર પોલીસે આરોપીને એમપીથી દબોચી લીધો : જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાનો વ્યૂહ સફળ
વાંકાનેર : વાંકાનેરમાં આદિવાસી પરણીતાં સાથે આડા સબંધ મામલે પત્નીને તરુણ સાથે કઢંગી હાલતમાં જોઇ ગયેલા પતિએ તરુણની ઘાતકી હત્યા નિપજાવી લાશ કૂવામાં ફેંકી દેવા મામલે વાંકાનેર પોલીસની ટીમે આરોપી ભૂરાસિંગને મધ્યપ્રદેશથી દબોચી લેવામાં સફળતા મેળવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા મૂળ મધ્યપ્રદેશના વતની કરમસિંહ નાનજીભાઈ કિકડીયાના પુત્ર બબલુ ઉ.૧૩ ની પંચાસિયા ગામની સીમમાં જ રહેતા ઠાકોર ભૂરાસિંગ દેહડિયાએ તેની પત્ની સવિતા સાથે આડા સબંધને કારણે હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દેતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો અને પોલીસે આરોપી ભુરાસિંગને ઝડપી લેવા તમામ તાકાત કામે લગાડી હતી.
- text
દરમિયાન જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ ભેદ ભરમના આંટાપાટા સર્જતી આ ઘટનામાં વાંકાનેર પોલીસના ચુનંદા જવાનોની ટીમને ભૂરાસિંગનું પગેરું દબાવી મધ્યપ્રદેશ મોકલી હતી અને ગુપ્તતા પૂર્વક આરોપી ભૂરાસિંગ દેહડિયાને દબોચી લેવામાં સફળતા મળતા પોલીસની ટીમ આરોપીને લઈ વાંકાનેર પરત ફરી છે.
વધુમાં આવતીકાલે તરુણની નિર્મમ હત્યા કરનાર ભુરસિંગને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરનાર હોવાનું સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.
તરુણની હત્યા કરનાર ભૂરાસિંગ દેહડિયાને તેના વતનમાંથી પોલીસ ગિરફતમાં લેવાની સફળ કામગીરી વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જી.આર.ગઢવી, હેડ કોન્સ્ટેબલ વશરામભાઈ દેવાયતભાઈ મેતા, હેડ કોન્સ્ટેબલ તેજપાલસિંહ કિરીટસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, અશ્વિનભાઈ પ્રકાશભાઈ રંગાણી સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
- text