એ નરાધમને નિર્દોષ બાળકી પર દુષ્કર્મ ગુજારવુ હતું, પરંતુ બાળકી રડવા લાગતા ઠંડે કલેજે હત્યા કરી

- text


મોરબીમાં લાપતા બાળકીની ગળું કાપી હત્યા કરવા પ્રકરણમાં નરાધમને ઝડપી લેતી પોલીસ

મોરબી : હેવાનીયતની હદ વટાવે તેવા કિસ્સામાં મોરબીમાં પાંચ વર્ષની માસુમ બાળકી લાપતા બન્યા બાદ ગળું કાપી હત્યા કરવાના ચોંકાવનારા કિસ્સામાં પોલીસે નરાધમ શખ્સને ઝડપી લેતા આ હેવાને બાળકી પર દુષ્કર્મ ગુજારવા પહેલા અપહરણ કર્યું હોવાનું કબૂલી બાળકી રડવા લાગતા ઠંડા કલેજે ગળા પર છરી ફેરવી દીધાની સ્ફોટક કબૂલાત આપતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.

મોરબીના લખધીરપુર રોડ પર આવેલા સીરામીક કારખાનામાં બાળકીની હત્યા કરનાર આરોપીની પોલીસે વાંકાનેર રેલવેસ્ટેશનેથી ધરપકડ કરી છે. આરોપીએ બદકામ કરવાના ઇરાદે બાજુની ઓરડીમાં રહેતી બાળકીનું અપહરણ કર્યું હતું, બાદમાં બાળકી જાગી જતા ભાંડો ફૂટવાના ડરથી બાળકીના ગળા પર છરી મારી હત્યા નિપજાવી હોવાની કબુલાત આપી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ મેટ્રોપોલ ટાઇલ્સ પ્રાઇવેટ લીમિટેડ કારખાનાની ઓરડી નં. ૭૦માં રહેતા બલરામ મલખાન સહેરિયા ઉ.વ.૩૫ મૂળ ઉત્તરપ્રદેશ વાળા તથા તેમની પત્નિ અને નાની બાળકી પોતાની ઓરડીના રવેશમાં સુતા હતા. ત્યારે તેઓની બાજુની ઓરડી નં.૭૧માં રહેતા અતુલ રામનારાયણ નિશાદ ઉ.વ.૨૪ મૂળ ઉત્તરપ્રદેશ વાળો બાળકીને નીંદરમાં ઉપાડી ગયો હતો.

આ શખ્સ બાળકી સાથે બદકામ કરવાના ઇરાદે તેનું અપહરણ કરીને પોતાની ઓરડીમાં લાવ્યો હતો. ઓરડીમાં લાવ્યા બાદ બાળકી નીંદરમાંથી જાગી જ્તા આરોપીને બૂમાબૂમ થાય તેનો ડર લાગતા બાળકીને ચૂપ કરાવવાની કોશિશ કરી હતી. આમ છતા બાળકી ચૂપ ન રહેતા આરોપીએ બાળકીના ગળા પર નિર્દયતા પૂર્વક છરીનો ઘા ઝીંકી તેનું મોત નિપજાવ્યું હતું.

પોલીસે આ આરોપી અમદાવાદથી વાંકાનેર ટ્રેનમાં આવતો હોય, ત્યારે વાંકાનેર રેલવે સ્ટેશને વોચ ગોઠવીને તેને પકડી પાડ્યો હતો. આરોપીએ હત્યામાં વાપરેલી છરી ઓરડીની પાછળ ફેંકી દીધી હોવાની કબુલાત આપતા પોલીસે આ છરી કબ્જે કરવાની તજવીજ હાથ ધરી છે.

 

- text