મોરબી : જળસંચયના કામો ગુણવતા સભર થાય તે જોવા અધિકારીઓને તાકીદ

- text


હળવદ ખાતે મોરબી જિલ્લા પ્રભારી સચિવ મોના ખંધારની અધ્યક્ષતામાં જળસંચય અભિયાનની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ

મોરબી : રાજય સરકારે જન ભાગીદારીને જોડી સુજલામ સુફલામ યોજના હેઠળ હાથ ધરેલ જળ સંચયના મહાઅભિયાનમાં પ્રત્યેક જન સહયોગમાં જોડાય અને જિલ્લામાં જળ સ્ત્રોત ઉંડા ઉતારવાના કામો વધુ પ્રમાણમાં થાય તે માટેના તમામ પ્રયાસો કરવા જિલ્લાના સબંધિત અધિકારીઓને જિલ્લા પ્રભારી સચિવ મોનાબેન ખંધારે મોરબી જિલ્લા જળ મહાઅભિયાન કામગીરીની હળવદ મામલતદાર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું.

જિલ્લા પ્રભારી સચિવ મોનાબેન ખંધારે જળ મહાઅભિયાન હેઠળ મોરબી જિલ્લામાં ચાલી રહેલા ૮૨ જળસ્ત્રોત ઉંડા કરવાના કામો તેમજ ૯૮ કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. તેની જાણકારી મેળવી હતી અને જણાવ્યું કે જે કામો થાય તે નિયત કરેલ ઉંડાઇ, પહોળાઇ અને મજબુત થાય, પાળા પણ મજબુત થાય તેના ઉપર ટેકનિકલ સ્ટાફનું સુપરવિઝન બરોબર થાય તે જરૂરી છે.

- text

પ્રભારી સચિવ ખંધારે કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા તેમજ થયેલ તળાવ, કેનાલોના પાળા પાસે ચોમાસામાં વૃક્ષારોપણ વધુને વધુ થાય તે માટે કામગીરી આયોજન કરવા પણ જણાવ્યું હતું. તેમજ કામોની ડોકયુમેન્ટ્રી તૈયાર કરવા સબંધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી. બેઠક પૂર્વે સચિવે હળવદ તાલુકાના સાપકડા ગામે ચાલી રહેલા તળાવના કામની મુલાકાત લીધી હતી.

પ્રભારી સચિવને જિલ્લા કલેકટર આર.જે. માકડીયાએ જિલ્લામા ચાલી રહેલા જળ સંચયના કામોની વિસ્તૃત જાણકારી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.ડી. જાડેજા, નાયબ કલેકટર શીવરાજસિંહ ખાચર સહિત જળ સંચય સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

- text