ખાનપર સ્મશાન વિવાદમાં ગ્રામજનોએ ૧૦૭ ગામોના સરપંચોના સમર્થન સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું : ત્રણ દિવસમાં પ્રશ્ન ઉકેલવા માંગ

- text


જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવા સેંકડો લોકો ઉમટી પડ્યા : ત્રણ દિવસમાં પ્રશ્ન ન ઉકેલાયતો આંદોલનની ચીમકી

મોરબી : મોરબીના ખાનપર ગામે તંત્ર દ્વારા અનુસૂચિત જાતિના સ્મશાન માટે જે જમીન ફાળવવામાં આવી તેના વિરોધમાં આજે ખાનપરના ગ્રામજનોએ ૧૦૭ ગામોના સરપંચોના સમર્થન સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ત્રણ દિવસમાં સ્મશાન મુદ્દે ચાલતા વિવાદનો અંત લાવવા માંગણી કરી આવેદનપત્ર પાઠવતા મામલો ગરમાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ખાનપર ગામે દલિત સમાજના સ્મશાન માટે ખરવાડની વધારાની ૨૦ ગુઠા જમીન ફાળવવામાં આવતા ખાનપરના સેંકડો ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. જેમાં ૧૦૭ ગામોના સરપંચોના સમર્થન સાથે વિવાદિત જમીન ફાળવણી રદ કરવા માંગણી કરાઈ છે, જો આ અંગે તાકીદે કોઈ નિર્ણય નહિ લેવાઈ તો ત્રણ દિવસ બાદ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે.

- text

ખાનપર ગામના ખેડૂતોએ આવેદનમાં જણાવ્યું કે દલિત સમાજને ખેડૂતોની ખરાવાડની સર્વે નં.૨ ની ૨૦ ગૂંઠા જમીનમાં સ્મશાન માટે કલેક્ટરે હુકમ કરેલ છે. આ હુકમ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના કરવામાં આવ્યો છે. જેને તાત્કાલિક રદ કરવામાં આવે તેવી ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે. આ હુકમ રદ નહિ થાય ત્યાં સુધી ખેડૂતોની લડત ચાલુ રહેશે. અને આગામી 17 તારીખ સુધીમાં આ વિવાદ બાબતે યોગ્ય ઉકેલ નહિ લાવવામાં આવે તો ખાનપરના ખેડૂતો પરિવાર સાથે ખેત ઓજારો સાથે કલેક્ટર કચેરીએ ધામા નાખી ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ડી.એલ.આરની માપણી ખોટા દસ્તાવેજો ઉભા કરીને કરવામાં આવી હતી. જેથી નવેસર થી આ માપણી કરીને ખોટી માપણી કરવામાં જવાબદાર સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોએ માંગ ઉઠાવી છે. સ્મશાન માટે ફાળવવામાં આવેલી ખરાવાડની જમીન ખેડૂતો વર્ષોથી ઉપયોગમાં લઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના હુકમ કરવામાં આવતા ખેડૂતો નારાજ છે. આમ આજે ૧૦૭ ગામોના સરપંચના લેટરપેડ સાથે આવેદનપત્ર અપાતા હવે આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે.

- text