મોરબીમાં કોંગ્રેસને વિજય મળતા પ્રવકતાએ અગિયાર મહિને ભોજન કર્યું !

- text


મોરબી વિધાનસભા જીતવા કોંગ્રેસના પ્રવકતા વિજય સરડવાની આકરી માનતા પૂર્ણ

મોરબી : જ્યાં સુધી મોરબી માળીયા બેઠક પર કોંગ્રેસનો વિજય નહિ થાય ત્યાં સુધી અન્નનો દાણો પેટમાં નહિ નાખું ! આવી આકરી બાધા લેનાર મોરબી કોંગ્રેસના પ્રવક્તા વિજયભાઈ સરાડવાની પ્રાર્થના ફળીભૂત થતા ગઈકાલે મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાના હસ્તે પારણાં કરી ભોજન લીધું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ અને મોરબી કોંગ્રેસ પ્રવકતા વિજયભાઈ સરાડવાએ ચૂંટણી પડઘમ વાગવાના શરૂ થતાં જ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી મોરબી વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ નહિ જીતે ત્યાં સુધી પોતે પેટમાં અન્નનો દાણો નહિ નાખે, વિજયભાઈએ માનતા માની છેલ્લા અગિયાર અગિયાર માસથી ફક્તને ફક્ત ફળાહાર જ કરે છે.

- text

જો કે ઈશ્વરે વિજયભાઈની માનતા સ્વીકારી હોય એમ આ ચૂંટણીમાં છેલ્લી પાંચ-પાંચ ટર્મથી ચૂંટાઈ આવતા ભાજપના ધારાસભ્યને કોંગ્રેસના બ્રિજેશભાઈ મેરજાએ જોરદાર ટક્કર આપી ૩૦૦૦ થી વધુ મતે હરાવી જીત મેળવતા ગઈકાલે વિજયભાઈ સરડવાએ બ્રિજેશભાઈ મેરજાના હાથે પારણાં કરી પોતાની માનતા છોડી હતી.

વધુમાં રવાપર ગામ ખાતે મોરબીના નવા ચૂંટાયેલા ધારાસભ્ય બ્રિજેશભાઈનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સરડવા પરિવાર દ્વારા બ્રિજેશભાઈનું બહુમાન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વિજયભાઈ સરડવાએ ગરીબ પરિવારોને ધાબળા વિતરણ કરી ગરીબો ને પ્રેમ થી જમાડ્યા હતા બાદમાં અગિયાર માસ બાદ અન્નનો દાણો મોમાં મુક્યો હતો.

- text