મોરબીમાં આચાર સંહિતાનો ચુસ્ત અમલ શરૂ : હાઇવે ઉપર આઠ ચેકપોસ્ટ કાર્યરત

- text


જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં ૧૮ ફ્લાઈંગ સ્ક્વોડની બાજ નજર

મોરબી : ચૂંટણીપંચે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરતા જ મોરબી જિલ્લા કલેકટર દ્વારા અચાર સંહિતાનો ચુસ્તપણે અમલ કરાવવાની શરૂઆત કરી દીધી છે, જિલ્લામાં રાજકીય પક્ષોના હોર્ડિંગ બેનર ઉતારવાનું શરૂ કરી હાઇવે ઉપર આઠ ચેકપોસ્ટ કાર્યરત કરી ૧૮ ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરી દેવામાં આવી છે.

મોરબી જિલ્લામાં ચૂંટણી તૈયારી અને મુક્ત વાતાવરણમાં આચારસંહિતાનો કડક પણે અમલ કરાવી ચૂંટણી યોજવા સંદર્ભે વિગતો આપવા જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં કુલ ૭૨૨૫૮૯ મતદારો માટે ૮૮૦ મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયા થશે. જિલ્લામાં સૌથી વધુ મતદારો મોરબી માળીયા બેઠકમાં નોંધાયેલા છે અને સૌથી ઓછા ટંકારા મતક્ષેત્રમાં નોંધાયેલા છે.

- text

આજથી આદર્શ આચારસહિતા અમલી બની છે અને આગામી તારીખ ૧૪ નવેમ્બરના રોજ વિધિવત ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે, અને ત્યારથી જે ૨૧/૧૧ સુધી ઉમેદવારીપત્રો રજુ કરી શકાશે. જેની ૨૨ નવેમ્બરે ચકાસણી કરશે અને ૨૪ નવેમ્બરે ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે અને તારીખ ૯ ડિસેમ્બરના રોજ મતદાન અને ૧૮ ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
વધુમાં આચારસંહિતાની કડક અમલવારી આજથી શરૂ કરી દેવામાં આવી છે આજે રાત્રી સુધીમાં શહેરી વિસ્તારમાં નગરપાલિકા સ્ટાફ અને ગ્રામ્ય વિસ્તારોમાં ટીડીઓ મારફતે રાજકીય પક્ષોના બેનર હોર્ડિંગ ઉતારી લેવાશે ઉપરાંત સાંજે તમામ સરકારી વિભાગોના વડા અધિકારીઓ સાથે મિટિંગ યોજી આચારસહિતાની કડક અમલવારી કરાવવા જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
વધુમાં આચાર સંહિતાની અમલવારી માટે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા દ્વારા હાઇવે ઉપર હાલ આઠ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવીછે અને દરેક વિધાનસભા મતક્ષેત્રમાં ૩-૩ મળી કુલ નવ ફ્લાઈંગ સ્ક્વોડ અને નવ સ્ટેટેસ્ટીક સર્વેલન્સ ટીમને બાજ નજર રાખવા કામગીરી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મતદાનના આઠ દિવસ પૂર્વે જિલ્લામાં હાઇવે ઉપર કુલ ૧૫ ચેકપોસ્ટ ઉભી કરાશે જે રાજકીય પક્ષ દ્વારા થતી રોકડ-લીકર સહિતની હેરફેર ઉપર નજર રાખશે.
વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષના ખર્ચ ઉપર નજર રાખવા માટે બારીકાઈથી ઓબ્ઝર્વેશન કરવા વિડીયોગ્રાફી કરવાની સાથે પેઈડ ન્યૂઝનું દુષણ ડામવા મીડિયા સર્ટિફિકેટ અને મોનીટરીંગ કમિટીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આચાર સંહિતાના કડક અમલ માટે આજથી જ મોરબી જિલ્લામાં સરકારી વાહનોના દુરુપયોગ રોકવાની સાથે હથિયાર બંધી, સભા-સરઘસ અંગે, વાહનોની નોંધણી, પ્રિંટીંગ પ્રેસ, ટીવી ચેનલ અને લોકલ કેબલમાં એડ આપવા અંગે તેમજ જાહેર દીવાલ ઉપર લખાણ ચિતરામણા રોકવા અંગેના જુદા-જુદા જાહેરનામા અમલી બનાવવામાં આવ્યા છે.

- text