મોરબી જિલ્લામાં એક મહિનો મતદારયાદી સુધારણા કાર્યક્રમ

- text


બાકી રહેલ તથા નવા નોંધણી લાયક લોકો મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા અનુરોધ

મોરબી જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીની એક પ્રેસ યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૮ વર્ષથી ઉપરનાં દરેક નાગરિકનું નામની મતદારયાદીમાં નોંધણી થયેલ હોવી જોઈએ. જો મતદાર યાદીમાં નામ નોંધવામાં આવ્યું હોય તો જ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. ભારતના ચૂંટણી પંચના ધ્યાન ઉપર આવ્યું છે કે, જ્યારે ચૂંટણી યોજવામાં આવે છે ત્યારે મતદાર યાદીમાં ભૂલો હોવા અંગે ફરિયાદો કરવામાં આવે છે જેથી જ્યારે મતદારયાદીની સુધારણા કરવામાં આવે ત્યારે, મતદારયાદીમાં નામ હોવા અંગે ચકાસણી માટેની કાળજી લેવી અત્યંત જરૂરી છે.
આ અંગે ચૂંટણી પંચે નક્કી કરેલ કાર્યક્રમ અનુસાર તા.01-07-2017ના મતદારયાદીનો આ મુસદ્દો કલેકટર કચેરી/ પ્રાંત કચેરી/ મામલતદાર કચેરી તથા દરેક મતદાન મથક પર જાહેર જનતાને જોવા ઉપલબ્ધ કરવામાં અવશે. આ રીતે મતદારયાદીના મુસદ્દામાં મતદારના નામ કે અન્ય વિગતોમાં ભૂલ હોય અથવા મતદારનું નામ જે જગ્યાએ નોંધવું જોઈએ એના બદલે બીજી જગ્યાએ નોંધાયું હોય અને ફેરબદલ કરવાનું થાય તેમજ 1લી જાન્યુઆરી,2017ના રોજ જેઓએ 18 વર્ષ પુરા કર્યા હોય તેવા મતદારોના નામો ઉમેરવા અંગે નિયત નમુનામાં અરજી કરી સુધારણા કરી શકાશે. આવા સુધારાની કામગીરી માટે તા.01-07-2017 થી તા.31-07-2017 દરમિયાન મતદાર યાદીમાં સુધારા-વધારા અંગે અરજીઓ કરી શકાશે. વધુમાં તા.09-07-2017, તા.16-07-2017 તથા તા.23-07-2017 (રવિવાર) ની ખાસ ઝુંબેશની તારીખો નિયત કરવામાં આવી છે. આ દિવસોએ તમામ નિયોજીત સ્થળો(મતદાન મથકો)એ સવારના 10-00 થી સાંજના 6-00 કલાક સુધી પદનામિત અધિકારીઓ દ્વારા હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આથી મોરબી જિલ્લામાં સમાવિષ્ટ ત્રણેય વિધાનસભા મતદાર વિભાગમાં તમામ બાકી રહેલ તથા નવા નોંધણી લાયક લોકો મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી લોકશાહીની આ પ્રક્રિયાને સુદ્રઢ બનાવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

- text

- text