હળવદ પ્રાંત કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ કડીયાણા ખાતે યોજાયો

- text


મોરબી : લોકોએ તેઓના પ્રશ્નો માટે જુદી જુદી કચેરીઓ સુધી ધકકા ન ખાવા પડે તેમજ લોકોના પશ્નોનો ધરઆંગણે અધિકારીઓની હાજરીમાં જ ઝડપી અને હકારાત્મક ઉકેલ આવે તેવા અભિગમ સાથે સરકારે સેવાસેતુ કાર્યક્રમ નો યજ્ઞ આરંભ્યો છે. જેને લોકોમાં સારો પ્રતિસાદ મળી રહયો છે. તેમ હળવદ પ્રાંત કક્ષાના કડીયાણા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા બાદ ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રીશ્રી જંયતીભાઇ કવાડીયાએ ઉપર મુજબ જણાવ્યું હતું મંત્રીશ્રીએ દિપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
રાજયમંત્રીશ્રીએ અધિકારીઓને લોકોના પ્રશ્નોનો ઝડપી અને સુખદ ઉકેલ લાવવા હકારાત્મક વલણ કેળવવા પણ જણાવ્યુ હતું મંત્રીશ્રીએ જુદા જુદા વિભાગોની ટેબલ વાઇઝ થતી કામગીરી અને પ્રશ્નોના નિકાલની થયેલ વ્યવસ્થા નિહાળી હતી. તથા સ્થળ ઉપર પોતાનું બી.પી. પણ મપાવ્યુ હતું
કડીયાણા ખાતે યોજાયેલ આ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૮૪૭ કુલ પ્રશ્નો રજુ થયા હતા જેમાં લોકોની વ્યકિતગત અરજીઓમાં મા કાર્ડ, જાતિ-આવકના દાખલાઓ, રેશન કાર્ડ સહિતની અરજીઓનો સમાવેશ થયો હતો. જેનો સ્થળ ઉપર જ હકારાત્મક ઉકેલ લવાયો હતો.
કડીયાણા ખાતે યોજાયેલ આ સેવાસેતુ કાર્યક્રમમાં ચરાડવા, વાંકિયા, દેવીપુર, જુના અને નવા દેવળીયા, સમલી, સુસવાવ અને ઇશ્વરનગર ગામોના લોકોની અરજીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં હળવદ પ્રાંત અધિકારીશ્રી ડી.વી. વીઠલાણીએ શાબ્દીક સ્વાગત પ્રવચન કર્યું હતું.
કાર્યક્રમમાં હળવદ તાલુકા પ્રમુખશ્રી ગીતાબેન સારોલા, તાલુકા ભાજપ પ્રુમખશ્રી રજનીભાઇ સંધાણી, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ધનશ્યામભાઇ ગોહિલ, હળવદ તાલુકા મામલતદારશ્રી જી.બી.પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ચૌધરી, કડીયાણા સરપંચશ્રી હરજીભાઇ વઢરેકીયા તથા જુદી જુદી કચેરીના અધિકારીશ્રીઓ અને અરજદારો ઉપસ્થિત રહયા હતા
 

- text